ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગ કરતી કોંગ્રેસ
રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યારે આગામી બે દિવસ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે રાજ્યના અનેક માર્કેટ યાર્ડોમાં ખુલ્લો પડેલો માલ પલળી જવા પામ્યો હતો જેને પગલે મોટું નુકસાન થવાની ભીતિ છે જ્યારે બીજી તરફ આ વરસાદ શિયાળુ પાક માાટે ખતરારૂપ બન્યો છે વરસાદને કારણે શિયાળું પાકને મોટું નુકસાન થઈ શકે છે ત્યારે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેડૂતોને વળતર આપવા માગણી કરી છે. અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે. આથી સરકાર નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એ જરૂરી છે.
અમદાવાદ, તા.૧૧
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. શિયાળામાં જ્યાં હાડ થીજવતી ઠંડી હોવી જોઈએ ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. રાજ્યના ૧૩૬ તાલુકાઓમાં સામાન્યથી લઈ સવા ઈંચી જેટલો વરસાદ પડ્યો છે. વરસાદને પગલે મંદ ગતિએ આગળ વધતી ઠંડીમાં પણ વેગ જોવા મળે તેવી શક્યતા છે. જ્યારે આગામી ૧૩ ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પરિણામે રાજ્યના મોટાભાગના સ્થળોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
હવામાન વિભાગની આગાહીને સાચી ઠેરવતા રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, સુરત, ભરૂચ, દ્વારકા, ગીરસોમનાથ, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, નવસારી, વલસાડ, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, ભાવનગર સહિતના પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થયાના અહેવાલો મળ્યા છે. વાત કરીએ ઉનાની તો ઉના શહેરમાં માત્ર બે કલાકના સમયમાં આશરે એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
બીજી તરફ પંથકમાં પણ વરસાદ પડ્યો છે. ગીરગઢડા પંથકમાં પણ ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો ભાવનગર પંથકમાં પણ ઝરમરથી લઈ ભારે ઝાપટાં પડ્યા છે. જ્યારે રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, બોટાદ, સાપુતારા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા એમ રાજ્યના મોટાભાગના સ્થળોએ ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે ઝાપટાં સાથે વરસાદે જમાવટ કરી છે. વરસાદને પગલે ઘઉં, ડુંગળી, ચણા, કપાસ, એરંડા, જીરૂ, આંબાના મોર જેવા પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ચોમાસામાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો પર શિયાળામાં માવઠાનો માર પડ્યો છે. માવઠાએ ખેડૂતોની ચિંતા ઔર વધારી દીધી છે. જ્યારે અચાનક વરસાદ શરૂ થઈ જતાં રાજ્યના અનેક માર્કેટયાર્ઠમાં બહાર ખુલ્લું પડેલુું અનાજ પલળી જતા મોટા નુકસાનની શકયતાઓ છે ત્યાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પરિણામે હજુ પણ બે દિવસ એટલે કે ૧૩મી સુધી વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે જ્યાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. બીજી તરફ હજુ પણ વરસાદ ચાલુ રહે તે ખેડૂતોને ખેતરમાં પાણી ભરાવાનો ભય લાગી રહ્યો છે. ખેતરમાં જો પાણી ભરાઈ જાય તો શાકભાજી અને ઘાસચારો બગડી જવાના ડરે ખેડૂતો ચિંતિંત બન્યા છે. વરસાદી માહોલને જોતા આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં ૩થી ૪ ડિગ્રીનો ઘટાડો જોવા મળે તેવી શકયતા છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શકયતા છે. બીજી તરફ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ નિર્મિત થાય છે. ત્યારે અમરેલીના રાજુલામાં વરસાદી પાણીની આવકને પગલે ઘાતરવાડી ડેર-ર ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક થતાં તંત્ર દ્વારા ડેમનો દરવાજો બે ઈંચ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આસપાસના પાંચથી વધુ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Recent Comments