(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ તથા પેન્શનરોની દિવાળીમાં આનંદ બેવડાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સ પૈકી પ૦ ટકા એરિયર્સનો લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
આજે સાંજે રાજ્ય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખૂબ જ મોટી ભેટ આપી હતી. નીતિન પટેલે જણાવ્યું કે કોરોના મહામારીમાં સરકારી કર્મચારીઓ ખડેપગે ઊભા રહ્યા છે. થોડા દિવસો બાદ તહેવારો શરૂ થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, ૬ મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ સરકારી કર્મચારીઓને ચૂકવાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૧.૭.૨૦૧૯થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૧.૭.૨૦૧૯થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાની થતી હતી. તેમણે વધુમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અને અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ/કર્મચારીઓ/પેન્શનરોને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને કારણે રાજ્ય સરકાર પર કુલ-રૂા.૪૬૪ કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.
રાજ્ય સરકારની આવકમાં વધારો થતાં દિવાળીની ભેટ આપતો નિર્ણય ! સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું પ૦ ટકા એરિયર્સ ચૂકવાશે

Recent Comments