અમદાવાદ, તા.૧૩
કોરોનાનું સંક્રમણ રોકવા હવે રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ડ્રોનનો ઉપયોગ વધારવાની સાથે-સાથે હાઈડ્રોઝન ગેસના બલૂનનો ઉપયોગ કરાશે. આ બલૂનમાં લાગેલા કેમેરા દ્વારા પોલીસ અસરકારક સર્વેલન્સ કરી શકશે, એમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. આ અંગે વધુમાં ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. આ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ વધારાશે તથા હાઈડ્રોજન ગેસના બલૂનનો પણ ઉપયોગ કરાશે. જે નિયત ઊંચાઈ પર રહેશે. જેમાં એક પી.ટી. ઝેડ કેમેરા અને બેથી ત્રણ સ્થિર કેમેરા લાગેલા હશે. જેમાંથી અસરકારક સર્વેલન્સ થઇ શકાશે. આ કેમેરા આઈ.પી. બેઇઝડમાં હોવાના કારણે તેના ફૂટેજ કંટ્રોલરૂમ અને ઉચ્ચ અધિકારીઓના મોબાઈલથી પણ જોઇ શકાશે. જેના લીધે સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સતત સુપરવિઝન કરી શકશે. સંક્રમણને રોકવા માટે ક્વોરન્ટાઈનનું મહત્ત્વ સમજાવતા ડીજીપી ઝાએ ઉમેર્યું કે, રાજ્યમાં લોકોની આંતર જિલ્લા અવર-જવર તથા અન્ય રાજ્યો કે વિદેશથી આવતા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય, આવા લોકોએ નિયત કરેલ ક્વોરન્ટાઈન સમય સુધી ક્વોરન્ટાઈનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અન્ય રાજ્યોમાંથી જમાતીઓ જે મંજૂરી સાથે તબક્કાવાર ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં આવ્યા હતા તે તમામને નિયમ મુજબ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, તે પૈકી ૧૨ લોકો કોરોનાગ્રસ્ત હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું હતું. જો કે, તે લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાથી અન્ય સંખ્યાબંધ લોકો સુધી સંક્રમણ રોકી શક્યા છીએ. મંજૂરી લઈને ગુજરાત પરત આવેલા જમાતીઓ પૈકી આંધ્રપ્રદેશથી ૨૩ લોકો જૂનાગઢ આવ્યા હતા. જેમાંથી એકને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત મહારાષ્ટ્રથી ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પરત આવેલા ૨૮ લોકો પૈકી ભાવનગરમાં ક્વોરન્ટાઈન થયેલા ૧૦ લોકો પોઝિટિવ હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશથી વડોદરા જિલ્લામાં આવેલા જમાતી લોકો પૈકી એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. વધુમાં ડીજીપી ઝાએ જણાવ્યું હતું કે, કોરાના વોરિયર્સ પરના હુમલાનાં વધુ છ બનાવોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.૪/૪/૨૦૨૦ના રોજ થયેલા પોલીસ પરના હુમલામાં ત્રણ આરોપીઓ, રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારના પોલીસ હુમલામાં એક આરોપી, અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ મથકમાં ગત તા.૧/૪/૨૦૨૦ના બનાવમાં બે આરોપી, વિરમગામ પોલીસ મથકમાં તા.૨૩/૪/૨૦૨૦ના બનાવમાં પાંચ આરોપી તેમજ પાટણ અને અમરેલી ખાતે જીઆરડી જવાન ઉપરના હુમલામાં એક-એક આરોપીની સામે પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલમાં મોકલી દેવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ ઉપર કુલ ૩૭ બનાવોમાં ગુના નોંધી ૮૮ આરોપીઓની વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસ જવાનો ઉપર હુમલાના ૨૬ બનાવો, જી.આર.ડી-હોમગાર્ડ ઉપરના ૬, મેડિકલ સ્ટાફ તથા મહેસૂલ કર્મચારી ઉપરના હુમલામાં બે તથા આશાવર્કર ઉપર હુમલામાં એક બનાવનો સમાવેશ થાય છે.
રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં કેમેરાવાળા હાઈડ્રોઝન ગેસના બલૂનથી નજર રખાશે

Recent Comments