(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
મહામારી પ્રત્યે દુનિયાને સમય રહેતા ચેતવણી ન આપવાના કારણે ચારે બાજુથી ઘેરાયેલા ચીને હવે પોતાની પેંતરાબાજી શરું કરી દીધી છે. તેણે કોરોના વાયરસના ઉદ્ભવને લઈને ભ્રમ ફેલાવવાનું શરૂ કર્યું છે. થોડા સમય પહેલા ચીનની સરકારે દાવો કર્યો હતો કે વુહાનમાં કોવિડ -૧૯ ફાટી નીકળતાં પહેલા રોગચાળો ઇટાલી સહિત વિશ્વના અન્ય ભાગોમાં ફેલાયો હતો. લદાખમાં ચાલી રહેલા તનાવ વચ્ચે હવે ચીનના વૈજ્ઞાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોરોના વાયરસ પ્રથમ વખત ભારતથી દુનિયામાં ફેલાયો છે. જોકે, ચીનના આવા ફાલતું દાવાની નિષ્ણાંતોએ હવા કાઢી નાખી છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસના વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું કે કોરોના વાયરસની શરુઆત શક્ય છે ત્યાં સુધી ૨૦૧૯ના ઉનાળામાં ભારતમાં થઈ હતી. ચીની આ ટીમે દાવો કર્યો હતો કે પ્રાણીઓથી દૂષિત પાણી દ્વારા કોરોના વાયરસે માણસોમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તે વુહાન પહોંચ્યો જ્યાંથી કોરોના વાયરસની ઓળખ પ્રથમવાર થઈ હતી. તેમના પેપરમાં કોરોના વાયરસના સ્રોતને નિર્ધારિત કરવા માટે ચાઇનીઝ ટીમે ફાયલોજેનેટિક વિશ્લેષણ (કોરોના વાયરસના મ્યુટેટ થવા અંગેનો અભ્યાસ)નો આશરો લીધો. અન્ય તમામ કોષોની જેમ, વાયરસ પણ પોતાને સતત મ્યૂટેટ કરતો હોય છે અને પછી ફેલાય છે. આ સમય દરમિયાન તેમના ડીએનએમાં થોડો ફેરફાર થાય છે. ચીની વૈજ્ઞાનિકોએ દલીલ કરી હતી કે જે વાયરસનું ખૂબ જ ઓછું મ્યુટેશન થયું છે તેની ઓળખ કરીને કોરોના વાયરસના સ્ત્રોત સુધી પહોંચી શકાય છે. ચીની વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિનો ઉપયોગ કરીને દાવો કર્યો હતો કે વુહાનમાં જોવા મળેલો કોરોના વાયરસ વાસ્તવિક વાયરસ નથી. તેમણે કહ્યું કે તપાસમાં કોરોના વાયરસના બાંગ્લાદેશ, અમેરિકા, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા, ભારત, ઇટાલી, ચેક રિપબ્લિક, રશિયા અથવા સર્બિયામાં ઉદ્ભવ થયાના સંકેત મળ્યાં છે. ચીની સંશોધનકારોએ દલીલ કરી હતી કે ભારત અને બાંગ્લાદેશમાં સૌથી ઓછા મ્યુટેશનવાળા નમૂનાઓ મળ્યા છે અને ચીનના પાડોશી દેશો હોવાને કારણે સંભવ છે કે ત્યાં પ્રથમ ચેપ લાગ્યો હતો. વાયરસના પરિવર્તન માટે લેવામાં આવેલા સમય અને આ દેશોમાંથી લેવામાં આવેલા નમૂનાઓના આધારે, ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ પ્રથમ જુલાઈ અથવા ઓગસ્ટ ૨૦૧૯ માં ફેલાયો હોવો જોઈએ. ચીનના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, પાણીની અછતને કારણે વાંદરા જેવા જંગલી પ્રાણીઓ ઘણીવાર પાણી માટે ખરાબ રીતે લડી પડે છે અને તેનાથી માણસો અને જંગલી પ્રાણીઓ વચ્ચેનો સંપર્ક થવાનું જોખમ ચોક્કસપણે વધે છે. અમારું અનુમાન છે કે પ્રાણીઓથી માણસોમાં કોરોના વાયરસનો ફેલાવો અસામાન્ય ગરમીને કારણે થયો છે. ચીનના વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતની નબળી આરોગ્ય પ્રણાલી અને યુવા વસ્તીને લીધે, આ રોગ કેટલાક મહિનાઓ સુધી સામે આવ્યા વગર જ ફેલાતો રહ્યો. તેણે દાવો કર્યો હતો કે ચીનમાં કોરોના વાયરસ યુરોપથી આવ્યો છે. તેથી વુહાનની મહામારી એ ફક્ત તેનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનો પહેલો કેસ ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાનમાં જ નોંધાયો હતો. આ દરમિયાન, ચીની વૈજ્ઞાનિકોના આ ખોટા દાવાની અન્ય વૈજ્ઞાનિકોએ હવા કાઢી નાખી છે. યુકેની ગ્લાસગો યુનિવર્સિટીના નિષ્ણાંત ડેવિડ રોબર્ટસનએ સમાચાર સંસ્થા ડૈઇલી મેઇલ સાથે વાત કરતા કહ્યું હતું કે, ચીની સંશોધન ખૂબ જ ખામીયુક્ત છે અને તે કોરોના વાયરસ વિશેની આપણી સમજમાં બિલકુલ વધારો કરતું નથી. આ પહેલીવાર નથી જ્યારે ચીને વુહાનને બદલે કોરોના વાયરસ માટે અન્ય દેશો તરફ આંગળી ચીંધી છે. ચીને ઇટાલી અને યુએસ પર પુરાવા વગર કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ચીનના વૈજ્ઞાનિકોએ ભારત પર એવા સમયે આરોપ લગાવ્યો છે જ્યારે મે મહિનાથી પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હાલમાં ચીનમાં કોરોના વાયરસના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના પુરાવા દર્શાવે છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ છે. ડબ્લ્યુએચઓએ તેની તપાસ ટીમ ચીન મોકલી છે.
Recent Comments