અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં કોરોના મહામારી સામે સામાજિક જીવન પૂર્વવત કરવા તા.૧૯મી મેથી લૉકડાઉન-૪માં ચોક્કસ નિયમો સાથે વિવિધ છૂટછાટો આપી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ગઈકાલ તા.૨૦મી મેથી સવારના ૮.૦૦થી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન સામાન્ય નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવાનો એસટી નિગમ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે એટલે કે, તા.૨૦મી મેના રોજ એક જ દિવસમાં રાજ્યભરમાંથી ૨૩,૦૬૯ જેટલાં મુસાફરોએ ફરજિયાત માસ્ક પહેરવા સહિત સામાજિક અંતર જાળવીને આ પરિવહન સેવાનો લાભ લીધો છે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતા અને સમગ્ર એસ.ટી. ટીમને બિરદાવી છે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપતાં જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અંદાજે બે માસ બાદ સામાન્ય મુસાફરો માટે પુનઃ શરૂ કરાયેલ પરિવહન સેવામાં પ્રથમ દિવસે તા. ૨૦મી મેના રોજ ૪૬ એક્સપ્રેસ અને ૬,૫૪૫ લોકલ ટ્રીપ એમ કુલ ૬,૬૦૦ જેટલી ટ્રીપના માધ્યમથી સવારે ૮ થી સાંજે ૬.૦૦ કલાક સુધીમાં ૨૩,૦૬૯ લોકોએ પરિવહન સેવાનો લાભ લીધો છે. પ્રવર્તમાન સંજોગોમાં મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવે છે. મુસાફરે બસ ઉપડતા પહેલાં ઓછામાં ઓછા ૩૦ મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના ૬૦ ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવે છે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના સચિવે વધુમાં કહ્યું કે, માસ્ક પહેરેલ હોય તેઓને જ બસ સ્ટેન્ડ કે ડેપોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોના સ્વાસ્થ્ય માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરીને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમના સામાન્ય સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જયારે ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે તેમજ આંતરરાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યુ છે. રાજ્યના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.