નવી દિલ્હી,તા.૨૫
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ બેટ્‌સમેન એબી ડિવિલયર્સે ૨૦૧૬માં આઈપીએલની મેચ દરમિયાન જે બેટથી સદી ફટકારી હતી, તેની હરાજી કરીને કોવિડ-૧૯ મહામારી સામે લડવા ફંડ એકત્ર કરશે. ગુજરાત લાયન્સ સામે રમાયેલી મેચમાં બંને ખેલાડીઓ દ્વારા સદી ફટકારવામાં આવી હતી.
આ બંને બેટ્‌સમેનો બેટ ઉપરાંત ક્રિકેટના અન્ય સામાનની હરાજી કરશે. જેમાં ગુજરાત લાયન્સ સામે રમાયેલી તે મેચમાં ઉપયોગમાં લેવામાં આવેલા ગ્લોવઝ, ટી-શર્ટ પણ સામેલ છે. કોહલી અને ડિવિલિયર્સ બંનેની સદી વડે રોયલ ચેલેન્જર્સે ૩ વિકેટના નુકસાન પર ૨૪૮ રનનો સ્કોર બનાવ્યો હતો. આરસીબીએ આ મેચ ૧૪૪ રનનતી જીતી હતી.
ડિવિલિયર્સે ઈન્સ્ટાગ્રામ ચેટમાં કોહલીને કહ્યું, અમે એક સાથે સારી ઈનિંગ રમી હતી. ગુજરાત લાયન્સ સામે ૨૦૧૬માં આઈપીએલની તે મેચ ખાસ હતી. મેં ૧૨૯ રન બનાવ્યા હતા અને તે ૧૦૦નો સ્કોર કર્યો હતો. બે બેટ્‌સમેનો ટી-૨૦માં સદી ફટકારે તેવું હંમેશા થતું નથી. તેથી મારા માટે આ યાદગાર છે. હું વિચારતો હતો કે આપણે સંકટના સમયમાં કેવી રીતે મદદ કરી શકીએ. તેથી મેં મેચમાં ઉપયોગમાં લેવાયેલા બેટ, ગ્લોવઝ અને ટી શર્ટ હરાજી કરવાનો નિર્ણય છે. હું મારી આ વસ્તુની સાથે તારા બેટ ઉપરાંત ગ્લોવઝની હરાજી કરીને ભંડોળ એકત્ર કરવા માંગુ છું. ડિવિલિયર્સે કહ્યું, આ વસ્તુઓની ઓનલાઈન હરાજી કરીને બંને દેશોના જરૂરિયાતમંદો માટે ભોજનનો પ્રબંધ કરવામાં મદદ કરી શકીએ છીએ.