અમદાવાદ, તા.ર૪
૨૦૦૮ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે ૧૭૯ કોંગી આગેવાનો સહિત ૧૫૦૦ લોકો સામે ગુનો નોંધ્યો હતો. આજે રાજકોટની કોર્ટમાં તેનો ચુકાદો આવતા ૧૨ને દોષિત ઠેરવી તમામને એક વર્ષની સજા અને ૫ હજારનો દંડ ફટકાર્યો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મહેશ રાજપૂત, વાંકાનેરના હાલના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, અશોક ડાંગર, ગોવિંદ રાણપરિયા, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ સાસંદ સ્વ.વિઠ્ઠલ રાદડિયા, ભીખુભાઈ વાડોદરિયા, ગોરધનભાઈ ધામેલિયા અને પોપટભાઈ જીંજરીયાનો સમાવેશ થાય છે. આ ૧૨ પૈકી વિઠ્ઠલ રાદડિયા અને પોપટભાઇ જીંજરીયા અવસાન પામ્યા છે. ૧૨ દોષિતોએ સેશન્સ કોર્ટમાં સમયગાળામાં કરતા તમામ જામીન મેળવી મુક્ત થયા છે.
૨૦૦૮માં તત્કાલીન કોંગી ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠા હતા. તે સમયે મામલો બીચકતા ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં ૧૭૯ કોંગી આગેવાનો સહિત ૧૫૦૦ લોકોના ટોળા સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૧૮૮ તથા પબ્લીક પ્રોપર્ટીના નુકશાન કરવાની કલમ ૩-૭ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટની કોર્ટમાં આ કેસ ચાલી જતા આજે અદાલતે ૧૨ રાજકીય આગેવાનોને તકસીરવાન ઠેરવ્યા છે.