(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૧
અરબ સાગરમાં ચક્રવાતના પગલે હવામાન વિભાગે બે દિવસમાં માવઠું થવાની આગાહી કરતા આગાહી સાચી પડી હતી. ગુરૂવારે રાત્રીથી શુક્રવાર બપોર સુધી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં માવઠું થવાની સાથે અરવલ્લી જિલ્લામાં કારતકમાં ભાદરવાનો માહોલ જામ્યો હોય તેમ સતત વરસાદ પડતા બંને જિલ્લામાં ખેડૂતોની હાલત દયનિય બની છે. ચણા, બટાકા, વરિયાળી અને શાકભાજીના વાવેતરમાં અને પાકમાં માવઠાથી નુકસાન થવાની શક્યતાના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
ભિલોડા ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર રાત્રીએ વાહનોમાં ઘઉં લઈ પહોંચેલા ખેડૂતોના ઘઉં પલળી જતાં ખેડૂતોની હાલત દયનિય બની છે. જિલ્લાના માર્કેટયાર્ડમાં અનાજનો જથ્થો પલળી જતાં વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે ખેતીવાડી તંત્રને ગ્રામસેવકો સાથે રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવે અને જ્યાં થોડો માવઠાની અસર ઓછી હોય ત્યાં ખેડૂતોને કાઉન્સિલિંગ કરી માવઠાથી ખેતીને નુકસાન નહીં જાય, ગભરાવાની જરૂર નથી અને માર્ગદર્શન આપવામાં આવેની તાકીદ કરી હતી.
અરવલ્લી જિલ્લામાં ૧.૪ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર કરી દેવામાં આવ્યું છે જેમાં ૫૫ હજાર હેક્ટરમાં ઘઉં, ૧૭ હજાર હેક્ટરમાં બટાકા, ૧૪ હજાર હેક્ટરમાં ચણા અને ૧૪૦૦ હેક્ટરમાં વરિયાળીનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. ત્યારે જ કમોસમી માવઠું થતાં ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ પેદા થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.