મોડાસા, તા.૮
શામળાજી મંદિર પરિસરમાં આવેલી કલાત્મક વાવ પણ ભક્તોના મન મોહી લે છે, ત્યારે ભરૂચથી દર્શનાર્થે આવેલ પરિવારની મહિલા અને યુવતી વાવ જોવા જતા મહિલાએ વાવના કઠેરાની અંદર આવેલ પથ્થર પર પગ મૂકવા જતા પગ લપસતાં મહિલા વાવમાં ખાબકતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીના ફૂવારા ઊડ્યા હતા, મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે મહિલાના પરિવારજનો અને ભક્તોમાં શોકનો માહોલ છવાયો હતો. શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભરૂચની વાસુદેવ સોસાયટીમાં રહેતા અને વકીલ દક્ષેશ મગનલાલ રાંદેરિયા પરિવાર સાથે શામળાજી મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. સહપરિવાર મંદિરમાં દર્શન કર્યા બાદ તેમના પત્ની શિલ્પાબેન રાંદેરિયા પરિવારની યુવતી સાથે મંદિર પરિસરમાં આવેલ વાવ જોવા પહોંચ્યા હતા. મહિલા વાવની અંદર કઠેરાની નીચે આવેલ પથ્થર પર પગ મૂકી અંદર જોવે તે પહેલાં ચક્કર આવતા પગ લપસી જતા ઊંડી વાવમાં ખાબકતા સાથે રહેલી યુવતી હતભ્રત બની બૂમાબૂમ કરી મૂકતા પરિવારજનો અને ભક્તો વાવમાં દોડી ગયા હતા અને વાવમાં ખાબકેલા મહિલાનું માથાના ભાગે ગંભીર ઇજાના પગલે મોતને ભેટતા પરિવારજનોએ રોકોકોક્ક્‌ળ કરી મૂકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. મંદિર પરિસરમાં શોકની લાગણી છવાઈ હતી. વાવ ખુલ્લી હોવાથી અકસ્માતની ઘટનામાં મહિલાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.