• રાજ્યના ૭૦ હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને થશે લાભ

• શાળા કે વર્ગ બંધ થવાના કારણે શિક્ષક-કર્મચારીને નોકરી ગુમાવવાનો વારો નહીં આવે

અમદાવાદ,તા.પ
રાજ્યમાં ચાલતી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અનેક શિક્ષકોને ફાજલ પડવાનો ડર રહેતો હતો ત્યારે રાજય સરકારે શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ શિક્ષક કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે જેને પગલે નવી નિમણૂક પામનારાઓને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો વારો આવશે નહીં સરકારના આ નિર્ણયનો રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત ૭૦ હજાર જેટલા શિક્ષક કર્મચારીઓને આ લાભ મળશે વળી શાળા બદલવા માગતા હોય તેવા શિક્ષકો પણ આ જોગવાઈ લાભ લઈ શકશે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઈપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. શિક્ષણમંત્રીએ આ અગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ ર૦૧૧થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે. વધુમાં કહ્યું હતું કે, આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે. હાલ ફરજ બજાવતા શિક્ષકો માટે જુના શિક્ષકોની ભરતી અંગેની જોગવાઈ હોવાથી જે શિક્ષકો શાળા બદલવા માગતા હોય તેઓ આ જોગવાઈનો લાભ લઈ પોતાની ઈચ્છીત શાળામાં જઈ શકશે. આથી, બદલીના વિકલ્પ તરીકે દુરના સ્થળથી નજીક/ઈચ્છીત જગ્યાએ નિમણૂક મેળવવા કાયમી રક્ષણનો દુરઉપયોગ કરવામાં આવશે નહીં.