વર્લ્ડ ભરૂચી વડોદરા ફેડરેશન, ઈન્ડિયા ચેપ્ટર દ્વારા ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
સમાજ ત્યારે જ આગળ વધશે જ્યારે આપણે સૌ સંગઠિત અને સ્વાવલંબી થઈશું : ફારૂકભાઈ કેપી
આ પ્રસંગે મૌલાના મુફ્તી ઇકબાલ ટંકારવી, મૌલાના અલ્તાફ અલ-અઝહરી, ફારૂકભાઈ કે.પી.,આદમભાઈ આબાદ નગરવાલા, દિલાવરભાઈ દશાનવાલા, ઇકબાલભાઈ પાદરવાલા, યુનુસભાઈ અમદાવાદી તેમજ દેશ-વિદેશમાં રહેતા ભરૂચી વહોરા અગ્રણીઓ, સંયોજકો અને ગામેગામથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ, તા.૨૨
વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્ધારા ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તબીબી અને એન્જિ. ક્ષેત્રે ૨૬૭ જેટલા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે ૪૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ-વિદેશમાંથી ભરૂચી વહોરા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચી વહોરા પટેલ વિશ્વભરમાં ફેલાયેલો સમાજ છે.વહોરા સમાજ “સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ” થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુથી દુનિયાભરમાં વસવાટ કરતા ભરૂચી પટેલો એ વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનની સ્થાપના કરી હતી. સમાજના અનેક વિદ્યાર્થીઓ સ્કોલર હોવા છતાંયે આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. આ બાબતને લક્ષમાં રાખી સંસ્થાએ તબીબી અને એન્જિનિયરીંગ સહિતના ૧૫ કોર્ષમાં આગળ વધવા માંગતા ૨૬૭ વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી. આવા વિદ્યાર્થીઓને મુન્શી સ્કૂલના કેમ્પસ યોજાયેલ કાર્યક્રમમાં વર્લ્ડ પ્રેસિડેન્ટ ઐયુબભાઈ અકુજીની અધ્યક્ષતા ૪૦ લાખ રૂપિયાની માતબર રકમની સહાય કરવામાં આવી હતી.
આ તબક્કે સંબોધન કરતા વર્લ્ડ પ્રેસિડેન્ટ ઐયુબભાઈ અકુજીએ ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને છાત્રોને જણાવ્યું હતું કે શિક્ષણના માધ્યમથી જ કોમની અને રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા કરી શકાય એમ છે. શિષ્ટ ઉપર ભાર મૂક્તા જણાવ્યું હતું કે શિસ્તચાર વિનાની ડીગ્રી નકામી છે, એટલે તમે સૌ ડીસીપ્લીનને પ્રથમ પ્રાધાન્ય આપજો. આપ સૌના સહકારથી વિશ્વમાં વસવાટ કરતા સમાજની સારી એવી કાયા પલટ થઈ જશે. હવે પછીના વર્ષમાં ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છતા આર્થિક રીતે નબળા સ્કોલર વિદ્યાર્થીઓ માટે એક કરોડની સહાય કરવાનું વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન એ નક્કી કર્યું છે.
આ સાથે સમાજના કાર્યોમાં અગ્રેસર રહેતા સંસ્થાના ડિરેકટર, મોભી અને ઉદ્યોગપતિ એવા ફારૂકભાઈ કેપીએ જણાવ્યું હતું કે સમાજ ત્યારે જ આગળ વધશે જ્યારે આપણે સૌ સંગઠિત અને સ્વાવલંબી થઈશું. સંગઠનમાં રહેનાર કોઈપણ સમાજ મજબૂત બનવા સાથે ધાર્યું પરિણામ મેળવી શકે છે. અને એમાંય જો સમાજના છોકરા-છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લેવામાં સફળ રહે તો સમાજ-કોમ અને દેશ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી શકશે એમાં કોઈ બે મત નથી. સમાજની દીકરી કલેકટર જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે અને અમારે એમને મળવા માટે વેઈટિંગમાં બેસવું પડશે ત્યારે અમને ગૌરવ થશે કે સંસ્થાએ કંઇક કર્યું છે. આજે વિશ્વમાં મુસ્લિમો બીજા નંબરે હોવા છતાંયે અલ્પસંખ્યકમાં ગણતરી થાય છે.એનું પાછળનું કારણ શિક્ષણમાં પછાતપણુ છે. જેને પગલે આપણે આપણો માન મરતબો ગુમાવ્યો છે. એને પુનઃ પ્રાપ્ત કરવા શિક્ષણ ઉપર ભાર મૂકવો જ પડશે.
મુસ્લિમ ધાર્મિક ગુરૂઓએ ઇસ્લામે શિક્ષણ લેવા ભાર મૂક્યો છે એના ઉદાહરણો સાથે સૌને સમજાવ્યા હતા.કોરોના કાળમાં મહત્ત્વની કામગીરી કરનારા સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સેવા કરતા કરતા કોરોનાની મહામારીમાં જીવ ગુમાવનારા માજી સાંસદ મર્હૂમ એહમદ પટેલ, વેલ્ફેર હોસ્પિટલના માજી પ્રમુખ મર્હુમ સલીમભાઈ ફાંસીવાલા અને સંસ્થાના અન્ય મર્હુમ કાર્યકરોને યાદ કરી તેમના માનમાં મૌન પાળી દુવા ગુજારવામાં આવી હતી.
Recent Comments