નવી દિલ્હી,તા.૧૭
૧૫ ઓગસ્ટે જ્યારે ચેન્નાઈમાં મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી અચાનક સંન્યાસની ઘોષણા કરી ત્યારે સૌ કોઈના દિમાગમાં એક જ સવાલ ઉઠી રહ્યો હતો કે, બંનેએ સંન્યાસ માટે સ્વતંત્રતા દિવસ જ કેમ પસંદ કર્યો અને બંનેએ એકસાથે જ કેમ એલાન કર્યું. આ વાતને લઈ સુરેશ રૈનાએ એક અખબારને આપેલાં ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. ૧૮ ટેસ્ટ, ૨૨૬ વનડે અને ૭૮ ટી૨૦ રમનાર રૈનાએ કહ્યું કે, અમે બંનેએ પહેલાથી જ શનિવારે સંન્યાસ લેવાની યોજના બનાવી લીધી હતી. ધોનીનો જર્સી નંબર ૭ અને મારો જર્સી નંબર ૩ છે, બંને મળીને ૭૩ થાય છે. શનિવારે ભારતની સ્વતંત્રતાના ૭૩ વર્ષ પૂરા થતાં અમે વિચાર્યું કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી વિદાય લેવાનો આનાથી બીજો કોઈ સારો દિવસ હોઈ શકે નહીં. ધોનીએ ૨૩ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ બાંગ્લાદેશની સામે ચટગાંવમાં તો મે ૩૦ જુલાઈ ૨૦૦૫ના રોજ શ્રીલંકાની સામે દાંબુલામાં પહેલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમી હતી. અમારા બંનેનું કેરિયર ૧૫-૧૬ વર્ષનું રહ્યું છે. અમે લગભગ એક સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. ચેન્નાઈ સુપરકિંગ્સમાં હંમેશા સાથે રહ્યા તો હવે સંન્યાસ પણ સાથે લીધો અને આગળ આઈપીએલ પણ સાથે જ રમતાં રહીશું. ધોની અને રૈનાને ક્રિકેટ જગતના જય-વીરૂ કહેવામાં આવે છે. રૈનાએ કહ્યું કે, મને ખબર હતી કે, માહી ચેન્નાઈમાં સંન્યાસની ઘોષણા માટે આવી રહ્યો છે, તો મેં પણ પોતાને પૂરી રીતે તૈયાર કરી લીધો હતો. મેં સીએસકેના ચાર્ટર્ડ પ્લેનથી ૧૪ ઓગસ્ટે પીયુષ ચાવલા, દીપક ચાહર અને કર્ણ શર્મા સાથે રાંચી પહોંચ્યો. ત્યાંથી માહીભાઈ અને મોનુ સિંહ અમારી સાથે હતા. અમે બધા ચેન્નાઈ પહોંચ્યા અને ૧૫ ઓગસ્ટે અમે સંન્યાસની ઘોષણા કરી દીધી. અને તે બાદ ગળે લાંગી રડ્યા હતા અને રાત્રે પાર્ટી પણ કરી હતી.