રાજપીપલા,તા.૩૧
રાજ્યમાં ખેરના વૃક્ષો આરક્ષિત હોવા છતાં ડેડીયાપાડા, સગાઇ સહિતની રેન્જોમાંથી મોટાપાયે ચોરી થઇ રહી છે, છતાં વન વિભાગ એટલું ગંભીર જણાતું નથી. તાજેતરમાં જ સિંગલવાણ ગામે ૧૪૦ ખેરના વૃક્ષો કાપી વેપારીઓ બારોબાર લઇ જતા ગ્રામજનોએ આટકાવ્યાં ડેડીયાપાડા વન વિભાગને બાતમી મળતા ત્યાં પહોંચ્યું પણ વેપારીઓ અને તેના માણસો ફરાર થઇ ગયા વન વિભાગને હાથ માત્ર મુદ્દામાલ લાગ્યા ખરેખર નાયબ વનસંરક્ષકે આ બાબતે તપાસ કરવી જોઈએ.
નર્મદા જિલ્લામાં ૪૩ ટકા જંગલ વિસ્તાર છે અને જેમાં સાગ અને ખેરના વૃક્ષો મોટા પ્રમાણે છે અને આ બંને વૃક્ષોની ઉંચી કિંમતો હાલ બજારમાં હોય વેપારીઓ ખેડૂતોનો બારોબાર સંપર્ક કરી ખેરના વૃક્ષો કાપી નાખે છે અને લઇ જાય છે. જોકે આ વૃક્ષો કાપવાની મંજૂરી વન વિભાગ પાસેથી લેવાની હોય જેની મુશ્કેલીને કારણે વેપારીઓ અને ખેડૂતો ગેરકાયદેસર રસ્તો આપનાવે છે. જિલ્લાનું જંગલ ખાલી થઇ રહ્યું છે પણ વન વિભાગ જાણે મીઠી નિંદર માણતું હોય એટલે વેપારીઓને ઘી કેળા છે એવા આક્ષેપો આજે વન વિભાગ પર લાગી રહ્યા છે ખાસ કરીને ડેડીયાપાડા રેન્જોમાંથી બારોબાર ખેરના વૃક્ષો સગેવગે થઇ રહ્યા છે છતાં એક પણ આરોપીઓ પકડાયા નથી એ કેટલે અંશે વ્યાજબી કેવાય રાજ્ય સરકારે ખેરના વૃક્ષોની કાપણી પર પ્રતિબંધો ફરમાવ્યાં હોવા છતાં કેમ આટલા વૃક્ષો કપાય છે. જે અંગે પણ તપાસ થવી જોઈએ.
આ અંગે ખેડૂત મુકેશ વસાવાએ જણાવ્યું છે કે સિંગલવાણ ગામે ૧૪૦ ખેરના વૃક્ષો કપાયા અને જેનો અમારા ગામના કેટલાક લોકોએ વિરોધ કર્યો અને વન વિભાગ ને જાણ કરી ત્યારે વન વિભાગ આવ્યા અને મુદ્દામાલ જપ્ત કરી વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આરએફઓ એમ.આર.પરમારે કહ્યું હતું કે ખેતરના વૃક્ષો કપાય છે. જેની બાતમી મળતા અમે પેટ્રોલિંગ ગોઠવી સિંગલવાણ ગામે જતા કેટલાક ખેરના વૃક્ષો કપાયા હતા. જે મુદ્દામાલ જપ્ત કર્યા છે અને ફરાર આરોપીઓની તપાસ ચાલુ છે.