(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતાં, હાર્દિકે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. હાઇકોર્ટમાં હાર્દિકના વકીલની રજૂઆત આના પહેલાં અનેક મોકા હતા છતાં ધરપકડ કરી નહીં. અત્યારે અમને ખોટી રીતે પરેશાન કરાઈ રહ્યા છે. આગોતરા જામીન અરજીમાં રજૂઆત હતી કે, રાજકીય અદાવતના કારણે સરકાર પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી રહી છે. સરકાર હાર્દિક સામે રાજકીય વેર વસૂલવા માટે આ કામગીરી થઇ રહી છે. હાઇકોર્ટ આ અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો હતો. સરકારે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે વધુ સુનાવણી ૧૪ ફેબ્રુઆરીએ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે વર્ષ ૨૦૧૫માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી. સરકારની રજૂઆત હતી કે, હાર્દિક સામે ગુજરાતમાં ૧૦ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને ૨૫મી ઓગસ્ટે સભાનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતાં તેણે સભા ચાલુ રાખી હતી તેથી તેની આગોતરા જામીન અરજી મંજૂર કરી શકાય નહીં. રાયોટિંગ કેસમાં ધરપકડથી બચવા હાર્દિક પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં પોલીસ તરફથી સરકારી વકીલની રજૂઆત હતી કે, ગ્રાઉન્ડ પર સભાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં આરોપીએ સભા ચાલુ રાખી હતી. આ ઉપરાંત અરજદાર આરોપી સામે ગુજરાતમાં કુલ ૧૦ પોલીસ ફરિયાદો નોંધાયેલી છે. હાર્દિકે આપેલા ઉશ્કેરણીજનક ભાષણના કારણે આ ગુનો બન્યો હતો. જો તેને જામીન પર મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ જાય તેમ છે. આ ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓની ધરપકડ અને તપાસ બાકી હોવાથી જામીન અરજી મંજૂર કરવી યોગ્ય નથી.
૨૫/૮/૨૦૧૫ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે થયેલી અનામત સભા સમયે વસ્ત્રાપુર પોલીસે હાર્દિક પટેલ સહિત આઠ વ્યક્તિઓ સામે રાયોટિંગ, ગેરકાયદે મંડળી, સરકારી અમલદારને ફરજમાં રૂકાવટ અને જાહેર સંપત્તિને નુકસાનના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી.