અમદાવાદ, તા.૧૯
લોકડાઉનમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે મંજૂરી લેવી પડતી હતી ત્યારે આજે નાયબ મુખ્યમંત્રીએ મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે લોકડાઉનના છૂટછાટ મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો હવે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આંતરજિલ્લા મુસાફરી માટે કોઈપણ પ્રકારના પાસ મેળવવાની કે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહીં. રાજ્યના નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં નાગરિકો સરળતાથી અવર-જવર કરી શકશે. નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે તેનું નિરીક્ષણ કર્યું હતું. નીતિન પટેલે મુખ્ય જાહેરાત કરતા જણાવ્યું કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે હવે પાસની જરૂર નથી. ખાનગી વાહનમાં આવ-જા કરી શકાશે. આંતરરાજ્ય મુસાફરીમાં પાસની જરૂરિયાત પર પણ પાસની હવે જરૂર નહિ પડે. અમદાવાદમાં કેસ ઘટશે તો વધુ છૂટછાટ આપીશું. ગતરોજ મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન ૪.૦ના નવા નિયમો જાહેર કર્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. જેથી આજે વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની અવર-જવર જોવા મળી હતી. અગાઉ રાજ્યમાંથી કન્ટેઇનમેન્ટ ઝોન જેવા કે રેડ વિસ્તારમાંથી ગ્રીન વિસ્તારમાં કે ઓરેન્જ વિસ્તારમાં જવા માટે પાસ લેવાની ફરજ પડતી હતી. એક ઓનલાઇન વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પાસેથી પાસ મેળવવો પડતો હતો અને તેના આધારે જ લોકોને પ્રવેશ આપવામાં આવતો હતો. દરમિયાન સરકારે લૉકડાઉન ૪.૦માં છૂટછાટ આપી હતી. રાજ્યમાં હવે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃતિ કરવાની છૂટ છે જેમાં ફક્ત હોટલ, સિનેમા, મોલ અને શાલા કૉલેજો બંધ રહેશે. અગાઉ જો કલેક્ટરના પાસ વગર કોઈ પ્રવાસી પ્રવાસ કરે તો તે જાહેરનામાના ભંગ બદલ ગુનાને પાત્ર ઠરતો હતો. જોકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત બાદ હવે સરકાર આ અંગે સરકારી નોટિફિકેશન કેવી રીતે બહાર પાડે છે તે જોવું રહ્યું.