(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
આપણા સમાજમાં કહેવાય છે કે, જરૂરિયાતમંદ માણસની વહારે કુદરત પણ મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં અંગદાતા એવા બ્રેઈનડેડ દર્દીઓ અંગદાન મેળવનાર દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોય છે, કેમ કે આવા દાનથી તેમની જિંદગી ફરી વસંતની માફક ખિલી ઊઠે છે. તેથી જ અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણાયું છે. સિવિલમાં અંગદાન પ્રત્યે મોટી સફળતા મળી છે, જેમાં એક ૧૯ વર્ષના બ્રેઈનડેડ યુવકના અંગદાનથી ૪ જેટલા લોકોને નવજીવન મળી રહેશે. લેટેસ્ટ અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, મૂળ બિહારના શિવપુર જિલ્લાના રહેવાસી પણ કામધંધા અર્થે રાજકોટમાં રહેતા ૧૯ વર્ષીય યુવક દીપકકુમાર અશોકરામ પ્રસાદનો અકસ્માત થવાથી માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં તેને વેન્ટિલેટર પર રખાયા હતા. ૫ નવેમ્બરે તેને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. પરિવારની સમજાવટ કર્યા બાદ ૮ નવેમ્બરના રોજ બ્રેઈનડેડ દીપકકુમારના હૃદય, ફેફસાં, કિડની, લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું. આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. છેલ્લા ૧૦ મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૧૮ લોકોના શરીરમાંથી મેળવેલા ૬૨ જુદા-જુદા અંગથી જુદા-જુદા ૫૦ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. છેલ્લે ૮ નવેમ્બરે જે બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન થયું તેને ગણતરીમાં લેતા છેલ્લા ૫૦ દિવસમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદને ૯મું અંગદાન મળ્યું છે. આ અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં પ્રત્યારોપણ કરી તેમના જીવનમાં ખુશહાલી લાવવાનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે.
૧૦ માસમાં ૧૮ લોકોના શરીરના ૬ર અંગોના દાનથી પ૦ લોકોના જીવ બચ્યા

Recent Comments