(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ તમામ કેન્દ્રીય મંત્રીઓને રાજ્યો તથા જિલ્લાના અધિકારીઓ સાથે સહયોગ કરવા આગ્રહ કર્યો હતો. ભારતમાં સૌ પ્રથમ વખતે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક યોજાય હતી. કોરોના વાયરસ સામેની જંગમાં મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એક વર્ષ સુધી તમામ સાંસદોની સેલરીમાં ૩૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સાસંદોની સેલરીનો ઉપયોગ કોરોના વાયરસથી લડવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાની સેલરી ૩૦ ટકા ઓછી લેશે. ૨ વર્ષ માટે સાંસદને મળતું ફન્ડ સ્થગિત કરવામાં આવ્યું છે. સંસદ સભ્યોને વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં રૂ. ૭૯૦૦ કરોડ સ્થગિત કરાવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તમામ સાંસદો પાસેથી ઓછો પગાર લેવાની મંજૂરી મળી ગઈ છે. પીએમ, મંત્રી અને તમામ સાંસદો ૩૦ ટકા ઓછી સેલરી લેશે. આ ઉપરાંત સાંસદોને મળતા ફંડ ૧૦ કરોડ પણ ૨ વર્ષ સુધી નહીં મળે તેવો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે સરકાર અધ્યાદેશ બહાર પાડશે.