Ahmedabad

અનલોક-૪ની ગાઈડલાઈનની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત દુકાનો ર૪ કલાક અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
ગુજરાતમાં કોરોનાના સંક્રમણને રોકવા, લોકડાઉન બાદ અનલોકની તબક્કાવાર શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત અનલોક-૪ દરમિયાન રાજ્ય સરકારે વધુ છૂટછાટો અમલી બનાવી છે. હવેથી દુકાનો રાત્રિના ૧૦ને બદલે ર૪ કલાક ખુલ્લી રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ ૧૦ વાગ્યાના બદલે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જો કે, સ્કૂલ-કોલેજો ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. જ્યારે લારી, ગલ્લા અને શેરી ફેરિયાઓ માટે કોઈ પાબંદી લાગુ પડશે નહીં. સપ્ટેમ્બરમાં શરૂ થનાર અનલોક-૪ની રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. ગુજરાતમાં આજથી હોટલ અને રેસ્ટોરન્ટ ૧૦ વાગ્યાના બદલે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ પબ્લિક ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે તેની સાથે- સાથે ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે ૨૪ કલાક ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં. ગાઈડલાઈન્સ મુજબ હવે લારી, ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે ૬૦ ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ ૫૦ ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે ઓપન એર થિએટર ૨૧મીથી ખોલી શકાશે. ૨૧ સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં ૫૦ ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ર્જીંઁનું પાલન કરવું પડશે. જે અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.૯થી ૧૨મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિત પૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે. એ જ પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ ૨૧ સપ્ટેમ્બરથી શરૂ કરી શકશે. ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર ઁૐ.ડ્ઢ અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્‌સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે. સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં ૨૧ સપ્ટેમ્બરથી ૨૦૨૦થી ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ અને સેનિટાઈઝરની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ લગ્ન સમારોહમાં ૫૦ વ્યક્તિ જ્યારે અંતિમક્રિયા કે અંતિમવિધિ માટે ૨૦ વ્યક્તિની મર્યાદા ૨૦ સપ્ટેમ્બર સુધી યથાવત્‌ રહેશે.