ભૂજ, તા.૧૬
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા રાજકારણ ગરમાયું છે. ત્યારે ચાર ધારાસભ્યો પૈકી એક ધારાસભ્ય કચ્છના અબડાસા વિધાનસભા ક્ષેત્રના છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું ધરી દેતા હવે પેટા ચૂંટણીમાં કોણ ઉમેદવાર ? એ પ્રશ્ન સાથે કચ્છના રાજકારણમાં અત્યારથી જ ગણતરીઓ શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અબડાસા બેઠકની હવે પછીની પેટા ચૂંટણીમાં ભાજપ વતી હું ઉમેદવાર બનીશ તેવી ભાજપ હાઈકમાન્ડે મને ખાત્રી આપી છે તેથી ભાજપમાંથી જાણે કે, ઉમેદવાર નક્કી છે, તો હવે કોંગ્રેસમાંથી કોણ ? આ મુદ્દે કોંગ્રેસમાંથી પણ સળવળાટ શરૂ થયો છે. પ્રદ્યુમનસિંહ જાડેજાના રાજીનામા પછી કોંગ્રેસમાંથી સક્ષમ ઉમેદવાર બની શકે તેવા નેતાની શોધખોળ પણ શરૂ થઈ છે.
બીજી તરફ પ્રદ્યુમનસિંહ જાડેજાએ ૩પ કરોડ લઈ ભાજપમાં જોડાયા હોવાની કોંગ્રેસ વર્તુળોએ વાત વહેતી મૂકી હતી. જો કે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ વાતનો રદિયો આપી અબડાસા મત વિસ્તારના વિકાસ માટે ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.