(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર અનુસાર જો ભાજપને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઉખેડી ફેંકવુ હોય તો કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ મળીને ચૂંટણી લડવી જોઇએ. મણિશંકર ઐયરે ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં જણાવ્યંુ કે, ભાજપનું તમિલનાડુમાં કોઇ મહત્વ નથી. તે અહીં ફક્ત આંટાફેરા કરી રહી છે અને વગલ બોલાવ્યા મહેમાન જેવી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો એ માટે વિજય થયો કારણ કે, યુપીએ અને બિનભાજપી પાર્ટીઓ સંપૂર્ણ રીતે વિખેરાઇ ચૂકી હતી. તેને ફાયદો ભાજપને મળ્યો અને તે સત્તામાં આવી. મણિશંકરે ઉમેર્યું કે, ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ પણસત્તામાં આવી અને અસદુદ્દીન ઓવૈસીની સરકાર પણ બની હતી. જો ભાજપને સત્તામાંથી હટાવવું હોય તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ઓવૈસી સહિત અન્ય રાજકીય પાર્ટીઓએ એક સાથે મળીને ભાજપ વિરૂદ્ધ લડવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં મણિશંકર ઐયર ઉપરાંત કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકરી અધ્યક્ષ દિનેશ ગુંડુરાવ, અસદુદ્દીન ઓવૈસી, તેલંગાણા રાષ્ટ્ર સમિતીના સાંસદ બી વિનોદકુમાર, સીપીઆઇના મહાસચિવ એસ સુધાકર રેડ્ડી, તેલંગાણા ભાજપના અધ્યક્ષ ડો. કે લક્ષ્મણ, ભાજપના પ્રવક્તા કૃષ્ણસાગર રાવ પણ હાજર હતા. આ કાર્યક્રમનું શિર્ષક ભગવા અને દક્ષિણ : શું બંને મળશે ? રાખવામાં આવ્યું હતું. સત્રનું નેતૃત્વ વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇએ કર્યું હતું. રાજદીપે દિનેશ ગુંડુરાવને પુછ્યું હતું કે, શું કર્ણાટક ભાજપનું ૨૦મું શાસિત રાજ્ય બનશે. તેને જવાબમાં રાવે કહ્યું કે, ભાજપ એવી પાર્ટી છે જે કર્ણાટકમાં આતુર છે. તેઓને ખબર નથી કે શું કરવું કેમ કે તેઓ અમને કામ, વિકાસ અને પ્રદર્શનના આધારે નિશાન બનાવવામાં સક્ષમ નથી તેથી ફક્ત ઘૃણાનો એજન્ડા ચલાવી રહ્યા છે. ભાજપે કર્ણાટકના ઘણા ભાગોમાં હિંદુ અને મુસ્લિમોની હત્યા કરાવી છે.