(એજન્સી)નવી દિલ્હી, તા.૮
હાથરસમાં થયેલી ગેંગરેપ અને હત્યાની ઘટનાનો ફાયદો ઉઠાવી ભારતમાં તોફાનો કરાવવા આંતરરાષ્ટ્રીય કાવતરૂં ઘડાયું હોવાના ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના દાવા અંગે કાર્ટૂનિસ્ટોને પોતાનું કૌશલ્ય બતાવવા માટે ખોરાક મળી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યોગીેએ દાવો કર્યો હતો કે, ભાજપ વિરોધી લોકો આંતરરાષ્ટ્રીય નાણાંકીય સહાય દ્વારા ભારતમાં જાતિ આધારિત અને ધર્મ આધારિત રમખાણો કરાવવા માંગે છે. રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી લોકોને ઉત્તરપ્રદેશમાં થઈ રહેલો વિકાસ પચી રહ્યો નથી, માટે તેવો તોફાનોને હાથો બનાવી અસ્થિરતા પેદા કરવા માંગે છે. અસામાજીક તત્વો ભાજપ અને દેશ વિરૂદ્ધ કાવતરૂં ઘડી રહ્યાં છે. જો કે હવે કાર્ટૂનિસ્ટો અવનવા કાર્ટૂન બનાવી યોગીના આ દાવાની હાંસી ઉડાવી રહ્યાં છે. વિવિધ અખબારો અને ખાસ કરીને અંગ્રેજી અખબારોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના દાવાની મજાક બનાવવામાં આવી રહી છે. ચોટદાર કાર્ટૂન અને તેમાં કટાક્ષપૂર્ણ લખાણ લખી કાર્ટૂનિસ્ટો યોગીની થિયરીને નકારી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાથરસમાં ૧૯ વર્ષીય દલિત યુવતી પર ઠાકુર સમાજના ચાર લોકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારી તેની પર ક્રૂરતા આચરવામાં આવી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત થતાં દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પીડિતાને ન્યાય અપાવવા લોકો પર સડકો પર ઊતરી આવ્યા હતા તેમજ જનતા દ્વારા આ મામલે યોગી સરકાર પર પણ પ્રહારો કરાયા હતા અને જણાવાયું હતું કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર બળાત્કારો અટકાવવામાં નિષ્ફળ રહી છે.