(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૦
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન સામે આવેલી મોબાઈલની દુકાનમાંથી રૂ. ૨૫,૩૪૧ ની મત્તાનાં મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયેલા ત્રણ તસ્કરોને શહેર પોલીસે આજે ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીનાં મોબાઈલફોન કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર આણંદ ટાઉન પોલીસ મથકનાં પીઆઈ એન. કે. ચૌહાણના માર્ગદર્શન મુજબ પીએસઆઈ કે. કે. જાદવ, હેકો રામાભાઈ, નટવરભાઈ, બહાદુરસિંહ, પોકો દિવગ્વિજયસિંહ, જાલમસિંહ, જીજ્ઞેશભાઈ અને કીરીટસિંહ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ત્યારે ગામડી ઓવરબ્રીજ પાસે ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેમની તલાસી લેતાં તેમની પાસેથી ૩૫ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. જેની પુછતાછ કરતાં આ મોબાઈલ પાર્થ ટેલીકોમ નામની દુકાનમાંથી ચોરી કર્યા હોવાનું તેમણે કબુલ કર્યું હતું. પોલીસે આ ગુનામાં પ્રવિણસિંહ ઉર્ફે ભુરીયો ચંપકસિંહ પરમાર ઉપરાંત અશ્વીન ઉર્ફે રમણ રણછોડ પરમાર અને પ્રદિપ ઉર્ફે મયુર લાભુજી ચાવડાની ચોરીના ગુનામાં ધરપકડ કરી તેઓનાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.