(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨
આણંદ જિલ્લાનાં વલ્લભ વિદ્યાનગરમાં હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરી ધાર્મિક માન્યતાનું અપમાન થાય તેવું સોશ્યલ મીડિયા પર વિડિયો વાયરલ કરનાર શખ્સ વિરૂદ્ધ આણંદ એલસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલ્લભ વિદ્યાનગર ખાતે રઘુવીર ચેમ્બર્સ પાસે આવેલા શિવસાલીની એપામેન્ટમાં રહેતા નીરવ હસમુખભાઈ બરવાળીયાએ સોશ્યલ મીડિયામાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય અને બંને કોમ વચ્ચે દુશ્મનાવટ અને ઘર્ષણ પેદા થાય ધાર્મિક માન્યતાનું અપમાન કરવાના ઈરાદે, તેમજ આ વિડિયો કોઇ મુસ્લિમે વાયરલ કર્યો હોય તેવું દર્શાવી મુસ્લિમ સમાજ વિરૂદ્ધ લાગણીઓ ભડકાવતો મેસેજ વાયરલ કરી શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરતા આ બનાવ અંગે આણંદ એલસીબીના પોકો દેવેન્દ્રસિંહ દિલીપસિંહની ફરિયાદના આધારે વલ્લભ વિદ્યાનગર પોલીસે નીરવ બરવાળીયા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જેની વધુ તપાસ વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકના પીઆઈ ડી. ડી. સીમ્પી ચલાવી રહ્યા છે.
બીજી તરફ દિલ્હીમાં તબલીગી જમાતે એકત્ર થઈ કોરોના વાયરસવાળો ચેપ આખા દેશમાં ફેલાવવાનું આતંકી કૃત્ય કર્યું છે. એટલે તેમને સોસાયટીમાં વસ્તુ વેચવા આવવા દેવા નહીં. તેમની સાથે વ્યવહાર રાખવો નહીં. આવા મેસેજ વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર સોજીત્રા ગામના ફલાહનગરમાં રહેતા જાવેદમહંમદ ઉસ્માનભાઈ વ્હોરા ગામમાં આવેલી જામીઆ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના મોબાઈલમાં જાવેદ વ્હોરા નામનું ફેસબુક એકાઉન્ટ ખોલેલું છે. ગઈકાલે તેમણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલ્યું હતું ત્યારે હાર્દિક દલવાડી નામના માણસે જાહેર ચેતવણી હેઠળ એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે દિલ્હીના તબલીગી જમાતના મરકઝમાં તમામ કોરોના પોઝીટીવ મુસ્લીમોને ભેગા કરી તેમને દેશના અલગ અલગ રાજ્યમાં મોકલી કોરોનાનો ચેપ ફેલાવવાનું આતંકી કૃત્ય કર્યું છે. એટલે દરેક નગરજનોને ચેતવણી આપવામાં આવે છે કે તમારા એરીયામાં જે કોઈ પણ મુસ્લિમ શાકભાજીની લારીઓવાળા, ફળફળાદીવાળા ફેરિયાઓ આવી તો તેની પાસેથી કોઈ ખરીદી કરવી નહીં. આ પોસ્ટ પટેલ હીતેન પપ્પુ અને અન્ય ૧૪ને શેર કરવામાં આવી હતી. પોલીસે જાવેદમહંમદ વ્હોરાની આ ફરિયાદના આધારે હાર્દિક દલવાડી નામના શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેની શોધ આરંભી હતી.