(એજન્સી) તા.૮
કોરોના વાયરસ અને તેના કારણે લાગેલા લોકડાઉનના આ સમયમાં બોલિવુડના કલાકારો પણ મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. જ્યાં અક્ષયકુમારે પૂરા ૨૫ કરોડ દાન આપ્યું તો, શાહરૂખ ખાને પણ દાનની રકમ જણાવ્યા વગર ૭ અલગ-અલગ પ્રકારે મદદ શરૂ કરી. આ બાજુ સલમાનખાન ૨૫૦૦૦ રોજમદારોને મદદ કરી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે અત્યાર સુધી આમિરખાનની દાનની જાણકારી સામે આવી ન હતી. પરંતુ હવે ખુલાસો થયો કે, તેણે પોતાનું નામ જાહેર કર્યા વગર પીએમ કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી દીધું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સે સૂત્રોના હવાલે જણાવ્યું છે કે, આમિરખાને જાહેર કર્યા વગર પીએમ કેયર્સ અને સીએમ રાહત ફંડમાં દાન આપ્યું છે. આ સિવાય આમિરખાન કેટલાક ફિલ્મ વર્કર એસોશિએશન અને એનજીઓને પણ દાન આપી ચૂક્યા છે. આ સાથે તે આ લોકડાઉનમાં પોતાની આવનારી ફિલ્મ લાલસિંહ ચડ્ડા સાથે જોડાયેલા ડેઈલી વર્કરોની મદદ પણ કરી રહ્યાં છે. જોકે, આમિરખાને હજુ સુધી પોતાના દાનનો ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે, ભારત સહિત દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૪૨૧ થઈ ગઈ છે. તેમાંથી ૩૯૮૧ એક્ટિવ કેસ છે. ૨૪ કલાકમાં કોરોનાના ૩૫૪ મામલા સામે આવ્યા છે. દેશની વિવિધ હોસ્પિટલમાં ૩૮૫૧ સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. તો ૩૨૬ લોકોને સારવાર બાદ સ્વસ્થ થવા પર હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અને એક વ્યક્તિ વિદેશ જતી રહી. કુલ મામલામાં ૬૬ વિદેશી નાગરિકો પણ સામેલ છે.