જૂનાગઢ, તા.ર
રાજ્યભરના ચકચારી જૂનાગઢ જિલ્લામાં થયેલ હત્યાના બનાવમાં લંડન રહેતી મહિલા સહિત બે આરોપીઓને ભારત ડિપોર્ટ કરતાં પહેલાં લંડનની કોર્ટે જેલ એક્સપર્ટને જૂનાગઢની જેલ ચેક કરવા ખાસ ભારત મોકલ્યા છે. આ એક્સપર્ટ જૂનાગઢ જેલની મુલાકાતે આવ્યા હતા અને જેલનું નિરીક્ષણ કર્યું હતું. ૮ ફેબ્રુઆરી ર૦૧૭ના દિવસે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં કેશોદના માણેકવાડાથી એક કિમી આગળ રોડ સાઈડે ઉભેલી કારમાં બેસેલા ગોપાલ ગોવિંદભાઈ સેજાણી (ઉ.વ.૧૧) નામના બાળકના અપહરણનો પ્રયાસ કરાયો હતો. એ વખતે તેને બચાવવા બાળકના બનેવી હરસુખભાઈ છગનભાઈ કરડાણીએ અપહરણકારો સાથે ઝપાઝપી કરી હતી. જેમાં અપહરણકારોએ તેને છરી મારી દીધી હતી. બાદમાં ગોપાલને પણ છરીના ઘા ઝીંકી કારમાંથી ઉતારી દેવાયો હતો. આ બનાવમાં હરસુખભાઈ કરડાણીએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે બનાવના થોડા જ દિવસો બાદ ગોપાલ સેજાણી અને બાદમાં હરસુખભાઈ કરડાણીએ રાજકોટ ખાતે સારવારમાં દમ તોડી દીધો હતો. આથી આ બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે જો કે, અપહરણકારોને ઝડપી લીધા હતા. આ બનાવમાં એલસીબીની તપાસમાં ગોપાલ સેજાણીને દત્તક લેવાની કાર્યવાહી કરનાર એનઆરઆઈ મહિલા આરતી ધીર અને મૂળ માળિયા હાટીનાનાં રહેવાસી કેવલજીતસિંહ રાયજાદા આરોપીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર ષડયંત્રની ચકચારી વિગત અનુસાર આરતીએ ગોપાલ સેજાણીને દત્તક લઈ તેના આધારે લંડનમાં તેનો મોટી રકમનો વીમો ઉતરાવી બાદમાં અહીં હત્યા કરાવી હતી. જેના આધારે તેણે ઈન્સ્યોરન્સ ક્લેમ કરી પૈસા ચાઉં કરી જવાનો કારસો રચ્યો હોવાનું ખૂલ્યું હતું. જૂનાગઢ પોલીસે આરતી અને કેવલજીતસિંહને ભારત લાવવા વિદેશ વિભાગ મારફત કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન લંડનની કોર્ટે બંનેને ભારત ડિપોર્ટ કરતાં પહેલાં જૂનાગઢ જેલ ચેક કરવા માટે જેલ એક્સપર્ટને જૂનાગઢ મોકલ્યા હતા. જે મુજબ અત્રે લંડનના જેલ એક્સપર્ટ જેમ્સ મેક માનુસ જૂનાગઢ જેલની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને ગુજરાતમાં ઈન્ચાર્જે જેલ ડીજી તેજપાલસીંગ બિસ્ત સાથે જૂનાગઢ જેલનું નિરીક્ષણ કર્યું હતું.