(એજન્સી) કોલકાત્તા, તા.૧૧
આસામમાં ભાજપ સરકારે મોટાપાયે બંગાલી અને હિન્દી ભાષી લોકોને રાષ્ટ્રીય રજિસ્ટરની યાદીમાંથી બહાર કર્યા સામે મમતા બેનરજીએ આક્રોશ વ્યક્ત કરી કહ્યું છે કે, તેઓ આવા શરણાર્થી લોકોને બંગાળમાં આશરો આપશે. આસામમાં ગેરકાયદેસર વસાહતીઓના નામે બંગાલી લોકો પર જુલમ કરી હાંકી કઢાય છે. આસામ સરકારે સાચા લોકોને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન લિસ્ટમાંથી બહાર કરી દીધા છે. આસામના કુલ ૩.૩૯ કરોડ લોકોમાંથી ૧.ર૯ કરોડ લોકોને બહાર કરાયા છે. જેમાં હિન્દી-બેંગાલી બોલનારનો પણ સમાવેશ થાય છે. મમતા બેનરજી અલીપુરદાર ખાતે એક સભામાં બોલી રહ્યા હતા. મમતા બેનરજીએ કહ્યું કે, આમ કેવી રીતે તેમને હાંકી કઢાય. હું તમને બધાને સતેજ કરું છું કે આનો ભોગ બનનારા લોકો બંગાળમાં આવે તો તેમને શરણ આપશો. તેમને હાંકી કાઢશો નહીં. સંઘ અને ભાજપની ઝાટકણી કાઢતાં મમતા બેનરજીએ કહ્યું કે, એનજીઓના ફંડથી આરએસએસ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો ઢોંગ રચી સંઘની વિચારધારા ફેલાવાય છે. રાજ્યમાં ભાજપ સંઘ અને બજરંગ દળે નવું સંગઠન ઊભું કર્યું છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં સારા પગારથી શિક્ષકો રાખી શિક્ષણ આપવાના નામે સંઘની વિચારધારાના પાઠ ભણાવાય છે. તેઓ આદિવાસીઓનું બ્રેઈનવોશ કરે છે. તેઓ તેમના વિચારોવાળા પુસ્તકો આપી વિદ્યાર્થીઓને ઘરે વાંચવા કહે છે. તેને માનશો નહીં.