(એજન્સી) ઔરંગાબાદ, તા.૩૦
બિહારના ઔરંગાબાદ ખાતે રામનવમીના દિવસે સર્જાયેલ કોમી અથડામણનો મુખ્ય આરોપી ભાજપનો કાર્યકર રવિવારે કોર્ટ સંકુલમાંથી નાસી છૂટ્યો હતો.
અહેવાલો મુજબ આરોપી ભાજપનો કાર્યકર અનિલસિંગ કોર્ટમાં પોલીસને હાથતાળી આપી ભાગી ગયો હતો. સિંગને કોર્ટમાં રજૂ કરવા લઈ જતા સમયે તે છટકી ગયો હતો તેમ ઔરંગાબાદના પોલીસ વડા સત્યપ્રકાશે જણાવ્યું હતું. આરોપી અનિલસિંગ ઈજનેરી કોલેજનો વિદ્યાર્થી હતો. તે પહેલાં એબીવીપીમાં જોડાયો હતો. પાછળથી તે બિહાર પીપલ્સ પાર્ટીમાં સામેલ થયો હતો. જેની સ્થાપના રાજપૂત નેતા આનંદમોહને કરી હતી. આનંદ મોહન હાલમાં ગોપાલગંજના કલેક્ટર જિ. ક્રિષ્નાની હત્યામાં જેલની સજા કાપી રહ્યો છે. જેમની સામે ગુનો દાખલ કરાયો છે તેમાં ભાજપના પ્રવક્તા ઉજ્જવલ કુમાર અને એબીવીપીના નેતા દીપકકુમારનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે પોલીસે ગુનાહિત કાવત્રુ, કોમી ઉશ્કેરણી અને શસ્ત્ર ધારા હેઠળ કેસ દાખલ કર્યો છે. ઔરંગાબાદમાં ૧૪૮ લોકો સામે કેસ દાખલ કરાયો છે. જેમાં ૧રપની ધરપકડ કરાઈ છે.
નવાદીહ કોલોનીથી પસાર થતી શોભાયાત્રા પ્રસંગે રવિવારે સાંજે દંગાઈઓએ પથ્થરમારો કરી ર૦ દુકાનોને આગ લગાડી હતી. ત્યારે સ્થિતિ તંગ બની હતી. જામા મસ્જિદ વિસ્તારમાં પ૦ જેટલી દુકાનોને આગ લગાડી હતી. જેમાં ૬૦ લોકો ઘાયલ થયા હતા. ર૦ જેટલા પોલીસો પણ ઘવાયા હતા.