Ahmedabad

કાલુપુર રેલવે સ્ટેશનનો ૩૦ વર્ષનો અધધ.. ૯ કરોડનો ટેક્સ બાકી

અમદાવાદ, તા.૬
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ શહેરીજનોની સામાન્ય સુખાકારીના કામ પણ આ આવકથી હાથ ધરાઈ છે. અમ્યુકો તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા માટે સીલીંગ ઝુંબેશ સહિતની કાર્યવાહી કરાઈ છે. પરંતુ સામાન્ય લોકોની મિલકતને બાકી ટેક્સના મામલે તાળાં મારનાર અમ્યુકો તંત્ર સરકારી મિલકતો સામે લાલ આંખ કરી શકતું નથી. આનું ઉત્તમ ઉદાહરણ કાલુપુર રેલવે સ્ટેશનનું છે. ૨૪ કલાક પેસેન્જરથી ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશનનો લગભગ ૩૦ વર્ષથી રૂા.૯ કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે. જો કે, ગયા વર્ષે બીએસએનએલની ઓફિસને તાળાં મારનાર અમ્યુકો તંત્ર રેલવે સત્તાવાળાઓ સામે કડક પગલાં ભરશે કે કેમ તેવી ચર્ચા ઊઠી છે. આમ તો મ્યુનિસિપલ તંત્રના ચોપડે કુલ રૂ.૧૪૦૦ કરોડનો ટેક્સ બાકી બોલે છે, જેમાં બંધ મિલનો બાકી ટેક્સ સૌથી વધુ છે. ઉપરાંત બીએસએનએલ, રેલવે, એરપોર્ટ ઓથોરિટીનો કરોડો રૂપિયાનો બાકી ટેક્સ હજુ સુધી ભરાયો નથી. રેલવે તંત્રની વાત કરીએ તો તેની શહેરમાં અંદાજે ૫૦૦થી વધુ મિલકત છે. આ મિલકતનો રૂા.૧૮ કરોડથી વધુ ટેક્સ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકી બોલે છે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપરાંત અમદાવાદની ડીઆરએમ ઓફિસનો રૂા.૯૧ લાખથી વધુ, સાબરમતી રેલવે કોલોનીનો રૂા.૭૬ લાખથી વધુ અને સાબરમતી રેલવે સ્ટેશન ઓફિસનો રૂા.૬૧ લાખથી વધુ ટેક્સ હજુ સુધી ભરાયો નથી. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીનો રૂા.૧૯ કરોડનો ટેક્સ પણ ભરાયો નથી, જે મામલે ભારે ઊહાપોહ થતાં એરપોર્ટ ઓથોરિટીએ તાજેતરમાં રૂા.૫૮ લાખનો ટેક્સ ભરપાઇ કર્યો છે. આ પહેલાં એરપોર્ટ ઓથોરિટીએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂા.૫૮ લાખ ચૂકવ્યા હતા, આમ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં રૂા.૧.૧૬ કરોડ ચૂકવાયા હતા. જો કે, હવે કાલુપુર રેલવે સ્ટેશનના છેલ્લા ૩૦ વર્ષથી બાકી બોલતા રૂા.૯ કરોડના ટેક્સને લઇ તેની વસૂલાત કયારે થશે તેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.