અમદાવાદ, તા. ૩
કેન્દ્ર સરકારે ગુજરાતના મગફળી પકવતા ખેડૂતો માટે કુલ રૂપિયા ૬૨૮ કરોડની ગ્રાન્ટ આજે છુટી કરી છે. ગુજરાતના ૨૫૪ જેટલા કેન્દ્રો પર જે ખેડૂતોએ પોતાની મગફળીનું વેચાણ કર્યું હતું તેવા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ આગામી બેથી ત્રણ દિવસમાં જમા થઇ જશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ૯૦ હજાર મેટ્રીક ટન રાયડો અને ૮૦ હજાર મેટ્રિક ટન ચણાની ખરીદી માટે પણ મંજુરી આપી છે. આગામી ટૂંક સમયમાં આ ખરીદી પણ રાજ્યમાં શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુએ ભારત સરકારે ગુજરાતના ૧૮ હજાર ગામોના ધરતીપુત્રોને આર્થિક ધસારો ન પડે અને મગફળી ઓછા ભાવે વેચવી ન પડે તેમજ રાયડો અને ચણાની ખરીદી માટેના આ કિસાન હિતકારી નિર્ણય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે ખેડૂતોને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે. કેન્દ્ર સરકારે મગફળી પકવતા ખેડૂતો માટે ગ્રાન્ટ છુટી કરતા મોટી સંખ્યામાં ખેડૂતોને સીધો ફાયદો થનાર છે. ખેડૂતોના બેંક ખાતામાં રકમ ટૂંક સમયમાં જ પહોંચી જશે તેવી વાત પણ કરવામાં આવી છે.