(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સુપ્રીમકોર્ટે કેરળ સરકારના વટહુકમ ઉપર મનાઈ ફરમાવી છે જેના દ્વારા સરકારે ૧૮૦ મેડિકલમાં અપાયેલ વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર જાહેર કર્યો હતો. કોર્ટે એ સાથે સરકારને આદેશ કર્યો કે એવા વિદ્યાર્થીઓને કોલેજમાંથી બરતરફ કરવામાં આવે. ગેરકાયદેસર પ્રવેશ મેળવનારાઓમાં ૧પ૦ વિદ્યાર્થીઓ કન્નુર મેડિકલ કોલેજના અને ૩૦ વિદ્યાર્થીઓ પલાક્કડની કરૂણા મેડિકલ કોલેજના છે. ગયા વર્ષે સુપ્રીમકોર્ટે ૧૮૦ વિદ્યાર્થીઓને અપાયેલ પ્રવેશને રદ કર્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે પ્રવેશમાં ગેરરીતિઓ થઈ હતી. સુપ્રીમકોર્ટના આદેશને ઉલટાવવા સરકારે વટહુકમ બહાર પાડયો હતો પણ આ વટહુકમને એમસીઆઈએ પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે એમસીઆઈની અપીલ સામે ચુકાદો આપ્યો છે. કોઈ પણ વટહુકમની સમય મર્યાદા ૬ મહિનાની હોય છે. એ પહેલાં એ બાબત બિલ રજૂ કરી ગૃહમાં પસાર કરવું પડે છે. અન્યથા વટહુકમ રદ થઈ જાય છે. કેરળ સરકારે વટહુકમ રદ નહીં થાય એ માટે એ અંગેનું બિલ ગૃહમાં રજૂ કર્યું. આશ્ચર્યજનક રીતે સરકાર અને વિપક્ષોએ મળીને આ બિલ પસાર કરાવ્યું, ફકત કોંગ્રેસે વિરૂદ્ધમાં મત આપ્યો. હવે પ્રશ્ન એ થાય છે કે માત્ર સુપ્રીમકોર્ટના આદેશને રદ કરવાના આશયથી ધારાસભામાં બિલ પસાર કરી શકાય. શું એ માટે ધારાસભાને બંધારણીય અધિકાર છે ? સરકારે પોતાના બચાવમાં જણાવ્યું કે અમે માનવતાના આધારે બિલ પસાર કરાયું છે જેથી વિદ્યાર્થીઓનું કેરિયર નહીં બગડે જે વિદ્યાર્થીઓ કોલેજની મેનેજમેન્ટની ભૂલોનો ભોગ બન્યા છે. પણ જે તીવ્રતાથી વિપક્ષો અને સરકારે ભેગા મળી બિલ પસાર કરાવ્યું છે એમાં સીધેસીધો ભ્રષ્ટાચાર જણાઈ આવે છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા સુધીરને સરકાર અને વિપક્ષ સીપીઆઈ(એમ) ઉપર આક્ષેપો મૂકયા. સરકાર અને કોર્ટ વચ્ચેના સંઘર્ષમાં વિદ્યાર્થીઓ ફસાયા છે. એમણે મોટા મોટા ડોનેશનો આપી ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે હવે એમને સહન કરવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી બિલ પસાર કરાવ્યું છે. અમે સુપ્રીમકોર્ટ સાથે સંઘર્ષમાં ઉતરવા નથી માંગતા. બિલ રાજ્યપાલ પાસે સહી માટે પડતર છે પણ બંધારણીય નિષ્ણાતો જણાવે છે કે, સુપ્રીમકોર્ટના આદેશના પગલે રાજ્યપાલ પી.સદાશિવમ બિલ ઉપર સહી કરશે નહીં.