(એજન્સી) કોલકાતા, તા. ૧૯
કોલકાતામાં મુસ્લિમ સંગઠનોએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂના ભારત પ્રવાસનો વિરોધ કર્યો હતો અને માર્ગો પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ગાંધી મેદાનમાં દેખાવો દરમિયાન નેતાન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટરો પર શાહી છાંટીને આગને હવાલે કર્યા હતા. દેખાવકારોએ જણાવ્યું કે, ઇઝરાયેલ પેલેસ્ટીનમાં મુસ્લિમોનું જીવન દુષ્કર કરી રહ્યું છે, તેમના સ્થાનો પર અતિક્રમણ કરી રહ્યું છે અને આપણા વડાપ્રધાન તે જ દેશના વડાપ્રધાન નેતાન્યાહૂનું આપણા દેશમા સ્વાગત કરી રહ્યા છે. અખિલ બંગાલ અલ્પસંખ્યક યુવા સંઘના મહાસચિવ મોહમ્મદ કમરૂઝ્ઝમાએ જણાવ્યું હતું કે, પેલેસ્ટીનમાં મુસ્લિમો પર હુમલા થઇ રહ્યા છે,તેમની ધરતી અને સંપત્તિ પર અતિક્રમણ થઇ રહ્યું છે, એ અત્યંત દુઃખની વાત છે કે, વડાપ્રધાન મોદી ખુલ્લા દિલથી નેતાન્યાહૂનું સ્વાગત કરી રહ્યા છે. કમરૂઝ્ઝમાએ ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે ચાલી રહેલા જેરૂસલેમ વિવાદની વાત કરતા કહ્યું કે, બંને દેશો શહેરને પોતાની રાજધાની ગણાવે છે. ૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની ગણાવતા પેલેસ્ટીની નેતાઓ અને મુસ્લિમ દેશો તથા મોટાપાયે વૈશ્વિક સમુદાયની નિંદાની પરવા કરી નહોતી. કમરૂઝ્ઝમાએ એમ પણ કહ્યું કે, નેતાન્યાહૂનું અમદાવાદના સાબરમતી આશ્રમમાં જવું દુર્ભાગ્યની વાત છે. ગાંધીજીએ ઇઝરાયેલની નીતિઓને ક્યારેય માન્યતા નથી આપી. મોદી તેમને સાબરમતી આશ્રમ કેમ લઇ ગયા ? તેમણે પવિત્ર સ્થાનનું અપમાન કર્યું. તેમણે રાજ્યમાં નેતાન્યાહૂને નહીં આવવા દેવાના મમતા બેનરજીના પગલાંનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં નેતાન્યાહૂનંું સ્વાગત કરાયું ત્યારે મમતાની આ ભૂમિકાને અમે આવકારીએ છીએ. ઉલ્લેખનીય છે કે, નેતાન્યાહૂ ભારતના છ દિવસના પ્રવાસે છે.