અમદાવાદ,તા.પ
રાજયમાં ઓછા વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી છે ત્યારે ખેડૂતોની માંગ બાદ સરકારે મોડે મોડે પ૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા જો કે તેનો લાભ ડિસેમ્બરમાં મળશે. ત્યારે હાલ તો ખેડૂતો પરેશાન છે. ત્યારે ગુજરાતમાં અછતને લઈને રાજય સરકારે કેન્દ્ર સરકાર પાસે રૂા.૧૭પ૦ કરોડની માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે અછતના સામના માટે અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલ્યો છે. જેમાં રૂ. ૧૭૫૦ કરોડની જરૂરીયાત દર્શાવવામાં આવી છે. રાજ્યની રજૂઆતના પગલે ટૂંક સમયમાં કેન્દ્રની ટીમ ગુજરાત આવશે. ગાંધીનગરમાં વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે. તેમજ કેટલાક વિસ્તારોની મુલાકાત લેશે. ત્યાર બાદ અછત સહાયની રકમ મંજૂર થશે. રાજ્યના ૧૨ જેટલા જિલ્લાઓમાં અપુરતા વરસાદના કારણે અછતના વાદળો ઘેરાયા છે. સરકારે આખા કચ્છ જિલ્લા સહિત ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી દીધા છે. હાલમાં રાજ્ય કક્ષાએથી અછતને લગતી સહાયની કામગીરી શરૂ થઈ ગઈ છે. ૧ કરોડ કિલો ઘાસની ખરીદી કરવામાં આવી છે. આવતા દિવસોમાં પાણી, રોજગારી તેમજ ખેડૂત સહાય માટે કેટલા નાણાની જરૂરીયાત છે ? તેનું વિભાગવાર સંકલન કરી અહેવાલ તૈયાર કરવામાં આવેલો છે. આ અહેવાલ કેન્દ્રની સહાય માટે મોકલી દેવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકારે તેના પર આગળની કાર્યવાહી કરવાની થાય છે. રૂ. ૧,૭૫૦ કરોડની માંગણી સામે કેન્દ્ર સરકાર કેટલા રૂપિયા આપે છે ? તે હવે પછી ખબર પડશે. પણ એ બાબત નક્કી થઈ ગઈ છે. ગુજરાતમાં સરકાર છૂપાવી રહી છે તેના કરતાં પણ વધુ નુક્સાન છે. સરકાર અછત જાહેર કરવામાં પાછીપાની કરી રહી હોવાનું સર્વ વિદીત છે.