Ahmedabad

ગુજરાતની પ્રજા કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી, તે જનાધાર ખોઈ બેઠી છે

અમદાવાદ, તા.૩૦
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જનતા જનાર્દનના આશીર્વાદથી આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે. ભાજપની પ્રમાણિક અને વિકાસલક્ષી શાસનવ્યવસ્થાને લીધે આજે ગુજરાતના નગરો પણ શહેર સમકક્ષ સુવિધાયુક્ત થાય છે. તાજેતરમાં જ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠીવાર પ્રજાએ ભાજપની વિકાસલક્ષી રાજનીતિ પર મહોર મારી છે. વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ૧૯૯૫ પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ગામડાઓ તથા નગરોની હાલત અત્યંત દયનીય હતી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના ગામડાઓ તથા નગરોમાં પીવાના પાણી, રોડ-રસ્તા, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ શા માટે ઉપલબ્ધ નહોતી? તેનો જવાબ કોંગ્રેસ આપે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટેની અબજો રૂપિયાની ગ્રાન્ટ કોંગ્રેસના શાસનમાં ક્યાં જતી રહેતી તેનો જવાબ કોંગ્રેસ આપે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સતત ત્રણ દાયકાથી હાર થઇ છે, ગુજરાતની પ્રજા કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી, કોંગ્રેસ તેનો જનાધાર ખોઇ બેઠી છે.