(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.૨૬
ખેરાલુ તાલુકાના વઘવાડી ગામની સગીરાને રાત્રિના સુમારે બાઈક ઉપર ખેતરમાં લઈ જઈને તેની ઉપર બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે ત્રણેય આરોપીઓને ૨૦ વર્ષની કેદ અને રૂા.૧૭ હજારનો દંડ ફટકાર્યો હતો.આ કેસની ટૂંકી વિગત પ્રમાણે ખેરાલુ તાલુકાના વઘવાડી ગામમાં તા.૧૦.૨.૨૦૧૭ના રોજ રાત્રીના સુમારે પગપાળા જઈ રહેલી એક સગીરાને ગોસ્વામી સંજયગીરી ઉર્ફે નેનજી બાબુગીરી અને ઠાકોર જયંતિજી ઉર્ફે પંડિત ભીખાજી તેમના બાઈક ઉપર બેસાડીને સંજયના ખેતરમાં લઈ ગયા હતા અને અહીં બોરની ઓરડી નજીક ખુલ્લી જગ્યામાં સગીરાની મરજી વિરુધ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ, તેણીને બાઈક ઉપર ગામના હવાડા નજીક ઉતારી ફરાર થઈ ગયા હતા અહીં દેવીપૂજક નાગજીભાઈ વસંતભાઈએ મોકો જોઈને સગીરા ઉપર અંધારાનો લાભ લઈને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસ મહેસાણાના સ્પેશિયલ સેસન્સ જજ પી.એસ.કાલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે ત્રણેય આરોપીઓને કસુરવાર ઠેરવ્યા હતા અને દોષિતોને ૨૦ વર્ષની કેદ અને રૂા.૧૭ હજારના દંડનો હુકમ કર્યો હતો.