પાટણ,તા.ર૪
કોંગ્રેસ શાસિત ચાણસ્મા તા.પં.માં વિવિધ સમિતિઓની રચના કરવા માટે આજે મળેલી બેઠકમાં સત્તાધારી પક્ષને મહાત કરી કોંગ્રેસ બળવાખોરોએ કારોબારી તેમજ ન્યાય સમિતિ ઉપર બહુમતિથી કબજો જમાવતા એકાદ માસ પૂર્વે ચૂંટાયેલા તાલુકા પ્રમુખના પક્ષનો કરૂણ રકાસ થયો હતો અને આગામી નજીકના દિવસમાં પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવી તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા જનમોરચાના કોંગ્રેસ બળવાખોર જૂથના સભ્યોએ અપક્ષ અને ભાજપના ટેકાથી સત્તા કબજે કરવા કવાયત હાથ ધરી છે.
ચાણસ્મા તા.પં.માં ૧૮ સભ્યો પૈકી કોંગ્રેસ પાસે ૧પ, અપક્ષ ર અને ભાજપના ૧ સભ્ય ચૂંટાયા છે. પ્રથમ ટર્મ વખતે પક્ષના મેન્ડેડ પ્રમાણે પ્રમુખ/ ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પરંતુ બીજી ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં પક્ષના આંતર કલહને કારણે રાજકારણ ડહોળાયું હતું. જેથી અગાઉના પ્રમુખને દૂર કરી પક્ષનો દ્રોહ કરનારને પ્રમુખ/ ઉપપ્રમુખના હોદ્દાનો શિરપાવ આપવામાં આવ્યો હતો અને પક્ષમાંથી જ ત્રણ સભ્યોની હકાલપટ્ટી કરવામાં આવતા મામલો ગુંચવાયો હતો.
આજે તા.પં. ખાતે વિવિધ સમિતિઓની રચના માટે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી. જેમાં જનમોરચાના ૬, ભાજપ ૧, અપક્ષ ર મળી કુલ ૧૭ સભ્યો હાજર રહ્યા હતા જ્યારે વર્તમાન પ્રમુખ જૂથના ૧ સભ્ય ગેરહાજર રહ્યા હતા. સમિતિઓની કામગીરી શરૂ કરવામાં આવતા જનમોરચાના સભ્ય કોકીલાબેન દ્વારા ૯ સભ્યોની કારોબારીના નામની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જયારે ભાથીજી ઝાલા તરફથી બીજી દરખાસ્ત રજૂ કરાતા તેના ઉપર મતદાન થતા જનમોરચાના જૂથને ૯ સભ્યોનું સમર્થન મળ્યું હતું જયારે સામેના પક્ષે ૮ મત મળતા તે જુથનો કરૂણ રકાસ થયો હતો. જયારે ન્યાય સમિતિની રચના માટે કોંગ્રેસ અસંતુષ્ટ જૂથ દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત તરફે ૯ મત મળ્યા હતા જયારે વર્તમાન પ્રમુખના જૂથને ૮ મત મળતા તેમનો કરૂણ રકાસ થયો હતો. આમ કોંગ્રેસ અસંતુષ્ટ જૂથ દ્વારા કારોબારી અને ન્યાય સમિતિની રચનાને બહુમતી હોવાને કારણે બહાલી આપવામાં આવી હતી.