(એજન્સી) ચેન્નાઈ, તા.૧૩
ચેન્નાઈમાં રસ્તા ઉપર વેચાતી મટન-બિરયાની વિશે એક ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આ માહિતી મુજબ રસ્તા પરની ખાણીપીણીની લારીઓમાં મળતી મટન-બિરયાનીમાં બિલાડીના માંસનો ઉપયોગ કરવામાં આવે છે અને નોંધવા જેવી બાબત તો એ છે કે, લગભગ છેલ્લા વીસ વર્ષથી લોકોને મટન બિરયાનીના નામે કેટ બિરયાની પિરસવામાં આવે છે. પ્રાણીઓની સુરક્ષા માટે કામ કરતાં લોકોનો આક્ષેપ છે કે, બિલાડીઓને કતલ કરી તેમના માંસના વેપારની પાછળ નરીકોટવા નામના એક ચોક્કસ સમુદાયનો હાથ છે એ સમુદાયના લોકો સામાન્ય રીતે ભટકતું જીવન વીતાવે છે. આ લોકો બિલાડીઓને પકડીને નિર્દયી રીતે તેમને મારી નાંખે છે અને તેમનું માંસ ખાણીપીણીવાળાઓને વેચી નાંખે છે. પીપલ ફોર એનિમલ્સ (ચેન્નાઈ) નામની સંસ્થાના સહસ્થાપક ડૉ.શિરાની પેરિરાએ કહ્યું હતું કે હાલની એક અરજીમાં આ વાત શહેરના પોલીસ કમિશનરના ધ્યાનમાં લાવવામાં આવી હતી. આ વિશેની તપાસ દરમિયાન આ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે નરીકોરવા લોકોની વસાહતમાંથી લગભગ ૪૦ જેટલી બિલાડીઓને શોધી કાઢી હતી. પેરિરાએ કહ્યું હતું કે અમને લોકો દ્વારા ફરિયાદ મળી હતી કે તેઓની પાળતું બિલાડીઓ ગુમ થઈ ગઈ છે. પેરિરાએ કહ્યું હતું કે તેમનું સંગઠન નરીકોરવા સમુદાયના પુનઃવસવાટ માટે સરકારનું ધ્યાન દોરશે કે જેથી બિલાડીઓની હત્યા કાયમ માટે બંધ કરી શકાય. પેરિરાએ કહ્યું હતું કે ચેન્નાઈના મ્યુનિ.કોર્પો.એ આ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કાયદા અંતર્ગત પગલાં લેવા જોઈએ. નરીકોરવા સમુદાયના લોકો પણ બિલાડીનું માંસ ખાય છે અને તેમના લગ્ન વેવા ખાસ પ્રસંગોના કેન્દ્રમાં પણ આનો સમાવેશ થાય છે.