જમ્મુ અને કાશ્મીર પુનર્વસન કાયદા-૨૦૧૯માં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ઉપરાજ્યપાલ (એલજી) કેન્દ્રશાસિત પ્રદેશના પ્રધાન મંડળની ભલામણ પર જ કાર્યવાહી કરવાની રહેશે પરંતુ કેન્દ્રએ હવે આ જોગવાઇને અશક્ય બનાવતા નવા નિયમો ઘડ્યા છે
(એજન્સી) તા.૩
દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના તાજેતરના સ્વાતંત્ર દિન ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું જાહેર કર્યુ હતું કે હાલ ચાલી રહેલ સીમાંકનની કવાયત સમાપ્ત થયાં બાદ જમ્મુ અને કાશ્મીરના પોતાના મુખ્ય પ્રધાન અને પ્રધાનો હશે.
પરંતુ તેમની સરકારે જમ્મુ અને કાશ્મીર પુનર્વસન કાયદા ૨૦૧૯ હેઠળ જે ફરજીયાત છે એવી ભાવિ પ્રધાન મંડળની સલાહ માટે રાહ જોયાં વગર ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ ઓફ ધ ગવર્નમેન્ટ ઓફ યુનિયન ટેરીટરી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર રૂલ્સ ૨૦૧૯ ઘડીને જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટાયેલી સરકારની ભૂમિકાનું અવમૂલ્યન શરુ કરી દીધું છે. હાલ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ચૂંટાયેલી સરકાર અને પ્રધાન મંડળ વગર છે અને તે હાલ સીધા કેન્દ્રીય શાસન હેઠળ કામ કરે છે. ૨૭, ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારી કામગીરી હાથ ધરવા માટેના નિયમો જાહેર કર્યા હતાં અને તેમાં જણાવાયું હતું કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ પ્રધાન મંડળની સલાહના આધારે નિયમો બનાવશે.
નવી દિલ્હી અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના અધિકારીઓએ હવે એવું જણાવ્યું છે કે નવા ટ્રાન્ઝેક્શન રુલ્સ ઇસ્યૂ કરવા કેન્દ્રએ ૩૧ ઓક્ટો.ના જાહેરનામાનો સહારો લીધો છે જે અંતર્ગત તમામ સત્તાઓ ઉપરાજ્યપાલને હસ્તક જાય છે અને પુનર્વસન કાયદાની કલમ-૫૫ સ્થગિત કરે છે જેમાં એવું જણાવાયું હતું કે ઉપરાજ્યપાલ પ્રધાન મંડળની સલાહ પર કામ કરશે. હવે પ્રશ્ન એ છે કે શું પ્રધાન મંડળ આ નિયમો બદલી શકશે ? એક કાનૂની નિષ્ણાતે એવું જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રધાન મંડળ કેન્દ્ર કે ઉપરાજ્યપાલની ઇચ્છાની વિરુદ્ધ જઇને કામગીરીને લગતા નિયમો બદલવા માટે નિઃસહાય રહેશે. આમ જમ્મુ અને કાશ્મીર માટે કેન્દ્રના નવા નિયમો કોઇ પણ ભાવિ ચૂંટાયેલી સરકારની સત્તાનું અવમૂલ્યન કરે છે. જમ્મુ અને કાશ્મીર પુનર્વસન કાયદા-૨૦૧૯માં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ઉપ રાજ્યપાલ (એલજી) કેન્દ્રશાસિત પ્રદેશના પ્રધાન મંડળની ભલામણ પર જ કાર્યવાહી કરવાની રહેશે પરંતુ કેન્દ્રએ હવે આ જોગવાઇને અશક્ય બનાવતા નવા નિયમો ઘડ્યાં છે.
(સૌ. ધ વાયર.ઈન)