(એજન્સી) તા.૧૧
જ્યારે જુલાઇ મહિનામાં ભાજપના નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઇ માર્યા ગયાં હતાં ત્યારે પક્ષના નેતાઓએ શપથ લીધાં હતાં કે હત્યારાઓને બહુ જલ્દી સજા કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના પ્રભારી રામ માધવે વસીમ બારીના શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આપણે આશા રાખીએ કે હવે અન્ય કોઇને આવું બલિદાન આપવું ન પડે. જેમણે હત્યા કરી છે તેમને તાત્કાલિક શોધી કાઢવા જોઇએ એવી અમારી અપીલ છે. જો કે સ્થાનિક નેતાઓ, સરપંચ કે ગામના મુખીના સ્તરે તેમની હત્યાઓ અને હુમલાઓ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે. છેલ્લે ભાજપના ઓબીસી મોરચાના બડગામ જિલ્લા પ્રમુખ અબ્દુલ હમીર નાઝર પર પણ ગોળીબાર થયો હતો અને ઇજા પહોંચી હતી. પાછળથી સોમવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. અબ્દુલ હમીર નાઝર છેલ્લા એક સપ્તાહમાં નિશાન બનનાર કાશ્મીર ખીણના ભાજપના ત્રીજા નેતા છે. આ હુમલા બાદ કેટલાય સ્થાનિક ભાજપના નેતાઓએ રાજીનામા પણ આપી દીધાં છે. અહેવાલો અનુસાર ભાજપના કમસેકમ ચાર નેતાઓએ-પક્ષના બાંદિપોર એકમના મહામંત્રી અવતાર ક્રિષ્ના, બડગામના જિલ્લા પ્રમુખ ઇમરાન અહેમદ પારે, મતક્ષેત્રના પ્રમુખ વાલી મોહમદ બટ અને બડગામના જિલ્લા કાર્યાલય મંત્રી સમીર અહેમદ શાહે ભાજપમાંથી પોતાના રાજીનામા આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલ સ્થાનિક રાજકારણીઓમાં ૧૦, ઓગસ્ટના રોજ અબ્દુલ હામીર નાઝર પર ગોળીબાર થતાં ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ૬, ઓગસ્ટના રોજ સરપંચ સજાદ અહમદ ખાંડેને ઠાર મારવામાં આવ્યાં હતા. ૪, ઓગસ્ટના રોજ આરીફ અહમદ પર ગોળીબાર કરીને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યાં હતાં. ૮, જુલાઇના રોજ શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઇને ઠાર મારવામાં આવ્યાં હતાં અને એ જ દિવસે એટલે કે ૮, જુલાઇના રોજ સરપંચ અજય પંડિતા ભારતીને ઠાર મારવામાં આવ્યાં હતા.
આમ કાશ્મીરમાં સ્થાનિક રાજકારણીઓ પર હુમલા થઇ રહ્યાં છે અને તેમાંના કેટલાકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે. આથી સ્થાનિક ભાજપ નેતાઓમાં ભારે ફફડાટ ઊભો થયો છે અને કેટલાક નેતાઓએ ભાજપમાંથી પોતાના રાજીનામા પણ આપી દીધાં છે.