જૂનાગઢ,તા.૩૧
માણાવદર તાલુકાના સણોસરા ગામે રહેતાં મંજુલાબેન ગોવિંદભાઈ ભાલોડિયા (ઉ.વ.૬ર)એ રોહીતભાઈ વજુભાઈ ડઢાણિયા, વજુભાઈ સવજીભાઈ ડઢાણિયા, મંજુલાબેન વજુભાઈ ડઢાણિયા (રહે.બધા પાજોદ, તા.માણાવદર) વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે, ફરિયાદીની દિકરીના લગ્ન આજથી બારેક વર્ષ પહેલા પાજોદ ગામના પટેલ રોહીત વજુભાઈ ડઢાણિયા સાથે થયેલા જેમાં છેલ્લા પાંચ-છ વર્ષથી ફરિયાદીની દિકરી મમતાબેનને તેના પતિ તથા સસરા વજુભાઈ સવજીભાઈ ડઢાણિયા તથા સાસુ મંજુલાબેન વજુભાઈ ડઢાણિયાએ ફરિયાદીની દિકરી મમતાબેનને ઘરકામ તેમજ નાની-નાની બાબતોમાં શારીરિક, માનસિક દુઃખ, ત્રાસ આપી મેણાટોણા મારી, માર મારી તેમજ બિભત્સ શબ્દો કહી એકબીજાએ મદદગારી કરતાં ફરિયાદી દિકરીને મરવા માટે મજબૂર કરતાં ફરિયાદીની દિકરીએ વાડીએ ઝેરી દવા પી જતાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યું થયેલ છે. આ અંગે બાંટવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. વડોદરામાં નવી ધરતી, નાગરવાડા, કાડિયાવાડી ચાલ પાસે રહેતાં દિનેશભાઈ તુલશીભાઈ પંડ્યા (ઉ.વ.૪૭)એ નીતિન મોહનભાઈ ગેડિયા, મોહનભાઈ ગેડિયા, વિજય મોહન ગેડિયા, ઉષા વિજય ગેડિયા, ગંગાબેન મોહનભાઈ ગેડિયા, રમીતા મોહનભાઈ ગેડિયા (રહે. બધા મેંદરડા) વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે, આ આરોપીઓએ મરણ જનાર ફરિયાદીની દિકરીને ઘરકામ બાબતે તથા દહેજ બાબતે અવારનવાર મેણાંટોણા મારી, શારીરિક, માનસિક દુઃખ, ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતાં ફરિયાદીની દિકરીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરેલ છે. આ અંગે મેંદરડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.