(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૬
જૂનાગઢ-ધોરાજી રોડ ઉપર વિનય ઓઈલ મિલ પાસે એક ફોરવ્હીલરે મોટરસાઈકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ધોરાજી બહારપુરા ખાતે રહેતા યાવર યાકુબભાઈ સેતા (ઉ.વ.ર૯)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તેની મોટરસાયકલ નં. જીજે.૦૩.એચએફ.ર૦૭૩ લઈને તેના મિત્ર મકસુદ ઈસ્માઈલ પઠાણ સાથે ધોરાજી જવા નીકળેલ. વિનય ઓઈલ મિલ નજીક પહોંચતા ફરિયાદીની મોટરસાયકલને એક ફોરવ્હીલ ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી પાછળના વ્હીલમાં જોરથી ભટકાવેલ. જેમાં ફરિયાદી તથા તેના મિત્ર રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. જેમાં મકસુદભાઈને માથાના ભાગે તેમજ જમણા ખભે તથા છાતીના ભાગે અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન મકસુદભાઈનું મૃત્યુ થયું છે. આ બનાવના અનુસંધાને પોલીસે અજાણ્યા ફોરવ્હીલ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. વાઘમશી ચલાવી રહ્યા છે.