સુરત, તા. ૨૦
તા. ૧૮/૪/૧૮ના રોજ પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ ગટરની સફાઈ કામગીરીમાં ફરજ બજાવતા ત્રણ સફાઈ કામદારોનું ગુંગણામણના કારણે મૃત્યુ થયું હતું. કોઈપણ જાતના સેફ્ટીના સાધનો વગર કામગીરી કરતા હોય જેના કારણે આ ગમખ્વાર ઘટના બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન તથા ગટરલાઈની સફાઈની કામગીરી માટે કોઈપણ સેફ્ટીના સાધનો વગર ગટરની અંદર ઉતરવાના કિસ્સાઓ અવાર-નવાર બની રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતાં રહ્યા છે. પરંતુ આ અટકાવવા માટે મ.ન.પા. તરફથી કોઈપણ નક્કર તકેદારી રાખવમાં આવતી હોય તેવું દેખાતું નથી. ન્યાયાલયના દિશા નિર્દેશોનો અને આદેશોનું ઉલ્લંઘન થતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે. ન્યાયાલયના મનાઈ હુકમ છતાં પણ સેફ્ટીના સાધનો વગર કામદારો ગટર અને ડ્રેનેજ લાઈનમાં ઉતરવા મજબૂર થઈ રહ્યા હોય તે ખૂબ જ દુઃખદ પીડાજનક તેમજ ગંભીર બાબત છે.
ઉપરોક્ત ઘટનામાં કુલ ત્રણ કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી ઘટનાઓ સુરત મહાનગરપાલિકા માટે ખૂબજ શરમજનક છે. જ્યારે શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાતો ચાલતી હોય તેવા સમયે ગટર અને ડ્રેનેજની સફાઈ માટે કોઈપણ આધુનિક મશીનરીઓ અને સલામતીના સાધનોનો વપરાશ ના થતો હોય જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તંત્રને કામદાર વર્ગો માટે કોઈપણ પ્રકારની ચિંતા રહેતી નથી.
ઉપરોક્ત ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ કામદારોના પરિવારજનોને વળતરરૂપે રૂપિયા વીસ લાખની સહાય રાશી આપવામાં આવે તેમજ આ ઘટના પાછળના જવાબદાર ઉપર આઈ.પી.સી.ની ધારા ૩૦૪ સહિતની ફરજમાં ગંભીર તથા ગુનાહિત બેદરકારીની કલમો હેઠળ કાર્યવાહીઓ થાય તથા આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને તે માટે તકેદારી રાખવા વિશેષ કમિટીની રચના કરવમાં આવે જેમાં મ.ન.પા.ના પ્રતિનીધિઓ સાથે કામદાર યુનિયનના તેમજ પત્રકારો અને સામજિક સંસ્થાઓના જાગૃત નાગરીકોનો સમાવેશ કરવામાં આવે. જેથી આવી ઘટના ભવિષ્યમાં ના બને ઉપરોક્ત માહિતીઓ સાથેનું આવેદન ડે. કમિશનર અંકિત દેસાઈને પાઠવ્યું હતું.
આ પત્ર મળે દિન-૧૦માં જો યોગ્ય પગલાં નહીં લેવાશે તો સુરત શહેર ઈન્ટુક તેમજ સ્વાભિમાન સંગંઠન સંસ્થા દ્વારા વિરોધ કાર્યક્રમો ઘડવામાં આવશે . તે પછી જે કાંઈપણ પરિસ્થિતિઓનું નિર્માણ થાય તે માટે સંપૂર્ણ રીતે તંત્ર જવાબદાર રહેશે.