પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ સાથી વિદ્યાર્થીઓની મારઝૂડના આરોપસર અટકાયત કરી
(એજન્સી) નવી દિલ્હી, તા.ર
દિલ્હીના ઉત્તર વિભાગમાં આવેલ કરપાલનગર ખાતે એક ખાનગી શાળામાં ૧૪ વર્ષના વિદ્યાર્થીની મારઝૂડ કરી મોતને ઘાટ ઉતારનાર ત્રણ સહપાઠીઓની પોલીસે સીસીટીવીના આધારે અટકાયત કરી છે. જેઓ સીસીટીવીમાં મારઝૂડ કરતાં જોવા મળ્યા છે. આરોપી વિદ્યાર્થીઓની ઉંમર ૧પ વર્ષની આસપાસ છે. તેમની સામે સહપાઠી તુષારની હત્યા કરી તેના મૃતદેહને વોશરૂમમાં ફેંકી દેવાનો આરોપ છે. આ ઘટના જીવન જ્યોતિ સિનિયર સેકન્ડરી સ્કૂલ સદાતપુરામાં બની હતી. જ્યાં તેઓ ધો.૯માં અભ્યાસ કરતો હતો. દિલ્હીના નાયબ પોલીસ કમિશનર એ.કે.સિંગલાએ કહ્યું કે, સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને ઝડપી લેવાયા હતા. આરોપી વિદ્યાર્થીઓની પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું કે વર્ગખંડના ત્રણ વિદ્યાર્થીઓએ તુષારને ગડદાપાટુનો માર માર્યો હતો. ગુરૂવારે તુષાર અને ત્રણ આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી પછી તે ટોઈલેટમાં ગયો હતો જ્યાં ત્રણ વિદ્યાર્થીઓ પાછળ પાછળ ગયા હતા અને તુષારને મારઝૂડ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ તુષારને ટોઈલેટમાં મૃત જોયો હતો. પરિવારે તુષારને મારઝૂડ કરી મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ મૂકયો હતો. પરંતુ શાળા પરિવારનું કહેવું છે કે, તુષારની તબિયત સારી ન હતી તેથી તે મૃત્યુ પામ્યો. આરોપી યુવકો સામે ૩૦રની કલમ લગાવાઈ હતી. મૃતકના શરીરે કોઈ ઈજાની નિશાની ન હતી. પરંતુ આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે મૃતકના માથે અને ગળામાં મુક્કા માર્યા હતા. બીજા તપાસકર્તાએ કહ્યું કે તુષારનું મોત આંતરિક ઈજાઓથી થયું છે. શુક્રવારે મૃતકનું પીએમ થયા બાદ વધુ માહિતી મળશે. શાળા પરિવારની કોઈ બેદરકારી જોવા મળશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે. દરમિયાન કરવાલનગરમાં રહેતા મૃતક તુષારના પરિવારજનો અને રહેવાસીઓએ આ મોતના વિરોધમાં રસ્તા પર આવી દેખાવો યોજ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી તપાસ માંગી હતી. અગાઉ ગુરૂગાંવની રયાન શાળામાં વર્ગ-રના વિદ્યાર્થી પ્રદ્યુમન ઠાકુરની હત્યા કરાઈ હતી જેની ગળુ કાપી હત્યા કરાઈ હતી. જેની હત્યા શાળાના વરિષ્ઠ વિદ્યાર્થીએ કરી હતી.