(એજન્સી) તા.૧
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે મે સુધીમાં એવા દસ્તાવેજો રજૂ કરે જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના આ નિર્ણયનો ઉલ્લેખ હોય કે ઐતિહાસિક મોગલકાળની ઈમારત જામા મસ્જિદને સંરક્ષિત સ્મારક જાહેર ન કરવામાં આવે. કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે એક સોગંધનામું પણ દાખલ કરવા કહ્યું છે. જેમાં એ ફાઇલની સ્થિતિનો ખુલાસો કરાયો હોય કે જેને વારંવાર આદેશ અપાયા છતાં પણ સરકારે રજૂ ના કર્યો હોય. કેન્દ્ર સરકારના વકીલ સંજીવ નરુલાએ બેન્ચ સમક્ષ કહ્યું કે તે ફાઇલ રજૂ કરવા અસમર્થ છે કેમ કે જામા મસ્જિદ એક જીવંત સ્મારક છે જેમાં લોકો નમાઝ અદા કરે છે અને અનેક પાબંદીઓ પણ છે. કોર્ટે જોકે સ્પષ્ટતા કરી કે સરકાર દસ્તાવેજો રજૂ કરે કેમ કે તે જાણવા માગે છે કે આ પ્રકારનો નિર્ણય કરવાની જરુર શું હતી ? કોર્ટે અનેક પીઆઇએલ પર સુનાવણી હાથ ધરી રહી છે જેમાં કોર્ટથી અધિકારીઓને મસ્જિદને સંરક્ષિત સ્મારક જાહેર કરવા અને તેની આજુબાજુ બધા અતિક્રમણ હટાવવાનો નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જસ્ટિસ સી હરીશંકરની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. તેમણે કહ્યુ કે એપ્રિલ ર૦૧પ, ઓગસ્ટ ર૦૧૭ અને નવેમ્બર ર૦૧૭માં સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયને આ મામલે ફાઇલ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છતાં હજુ સુધી શા માટે કોઈ પ્રકારની ફાઇલ રજૂ કરવામાં આવી નથી. બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આગામી સુનાવણી ર૧ મેના રોજ હાથ ધરવામાં આવશે અને કેન્દ્ર સરકાર વતી આ ફાઇલ રજૂ કરવામાં આવવી જોઈએ. જોકે દિલ્હીના વક્ફ બોર્ડ તથા જામા મસ્જિદના ઇમામ મૌલાના સૈયદ અહેમદ બુખારી પાસેથી પણ જવાબ માગ્યો છે કે વક્ફ બોર્ડ દ્વારા શાહી ઈમામ શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. અરજીમાં માગણી કરાઇ છે કે જે મૌલવી અહીં નમાઝ પઢાવવા આવે તેમના નામ આગળ શાહી ઇમામ શબ્દનો ઉપયોગ અટકાવવામાં આવે.