(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને પોતાની ભાડે આપેલી દુકાનને પાલિકાના દબાણ ખાતાના સ્ટાફની મદદથી ખાલી કરાવવું ભારે પડી જવા પામ્યું છે.પોલીસે ઘટનાના સાડા પાંચ માસ બાદ ઇપીકો કલમ ૪૪૭,તથા ૪૨૭ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા રોડ વિસ્તારની પાણીની ટાંકી પાસેની કલાકુંજ સોસાયટીના ઘર નં.૭૨માં રહેતાં ડો.અજીતકુમાર પ્રવિણચંદ્ર ભટ્ટ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.મૂળ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં રહેતા ડો.અજીત ભટ્ટે વરાછાના ખાંડબાજાર ગરનાળા પાસે આવેલી રુદ્ર ચેમ્બર્સમાંની દુકાન નં.૨ ભેરુલાલ નરાયણજી પટેલને ભાડે આપી હતી.શહેરના ડિંડોલીના માનસરોવર સોસાયટીના ઘર નં.૨૨૮ માં રહેતા ભેરુલાલ ભાડે રાખેલી દુકાનની બાજુમાં જ અન્ય એક રૂમ પણ ભાડે રાખ્યો હતો.જ્યાં તેમણા કારીગરો રહેતા હતા. ભેરૂલાલે ડો.અજીત ભટ્ટની દુકાનમાં રાજસ્થાન ભોજનાલય નામની હોટલ શરુ કરી હતી.જે હોટલ ચાલુ હતી.તે દરમિયાન ભેરુલાલ ગત તા.૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પોતાના દિકરા કનૈયાલાલને લઇને પોતાના વતનમાં ગયા હતા.ત્યાર બાદ ગત તા.૧૪મી ઓગસ્ટના રોજ ડો.અજીતકુમાર ભટ્ટે પોતાની વગનો ઉપયોગ કરી,પાલિકાના દબાણખાતાના માણસોની મદદથી પોતાની દુકાન ભાડે રાખનારના કારીગરોને બળજરીથી બહાર કઢાવી,અંદરના સામાન કિંમત રૂા.૧,૫૦,૦૦૦ લાખનું નકસાન પહોંચાડ્યું હતું. જ્યારે કેટલાક સામાનને પાલિકાના દબાણખાતાએ કબજે લઇ લીધો હતો. બનાવ અંગે ભેરૂલાલે વરાછા પોલીસ મથકે પોતાની સાથે બનેલી ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક અરજી કરી હતી.જેના ઉપર પોલીસે જરુરી તપાસ કરાવી ડો.ભટ્ટ સામે ઇપીકો કલમ ૪૪૭,૪૨૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.