(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
જેએનયુના વિદ્યાર્થી નજીબના ગુમ થવાનો વિવાદ શમવાનું નામ નથી લેતું. નફરત ફેલાવતા તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે અને ટિ્વટ દ્વારા બિનસત્તાવાર માહિતીઓ આપે છે. તેનું તાજું ઉદાહરણ ફતેપુરના ભાજપના ધારાસભ્ય વિક્રમસિંહ છે. સોમવારે વિક્રમસિંહે ફેસબુક પોસ્ટ કરી હતી જેમાં જણાવાયું હતું કે, ‘‘જેએનયુમાંથી નજીબ નામનો વિદ્યાર્થી ઘણા મહિનાથી ગુમ થઇ ગયો હતો,ક્યારેક ભાજપ,ક્યારેક એબીવીપી અને ક્યારેક સંઘ પર તેને ગુમકરવાનો આરોપ તેના સાથી લગાવે છે. જેમાં કેજરીવાલ, રાહુલ ગાંધી જી, મણિશંકર ઐયર જી, શશી થરૂર જી, ગુલાનબી આઝાદ જી તથા ડાબેરી મીડિયા મુખ્ય હતા. હવે આશરે એક વર્ષ બાદ એવું જાણવા મળ્યું છે કે, તેની હત્યા પણ નથી થઇ અને તેણે આત્મહત્યા પણ કરી નથી પરંતુ તે આઇએસઆઇએસ સાથે વૈશ્વિક જેહાદની લડાઇ લડી રહ્યો છે. મને આશા છે કે, જે તત્પરતા અને સંવેદનશીલતાનો પરિચય આ તમામ ધર્મનિરપેક્ષ નેતાઓએ આપ્યો હતો તે જ ભાવ સાથે તેઓ ધર્મનિરપેક્ષ નિવેદન જારી કરશે. આ તમામ પ્રકરણમાં બે વાતો સામે આવે છે. ૧. ગ્લોબલ જેહાદના રિક્રૂટમેન્ટ સેન્ટર તરીકે જેએનયુ પર આક્ષેપ લાગે છે, કેરળની યુનિવર્સિટી, જાધવપુર યુનિવર્સિટી વગેરે આવા સેન્ટરો પર કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ ખાસ નજર રાખવી જોઇએ.૨. શું નક્સવાદ અને ગ્લોબલ જેહાદ વચ્ચે કોઇ સમજૂતી અંતર્ગત સૈનિકોના આદાન પ્રદાનની પ્રક્રીયા છે જે આ સેન્ટર્સ દ્વારા ચલાવાઇ રહી છે.’’
એટલે સુધી કે ભાજપના ટોચના મોંફાટ નેતાઓ કે જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ અને પ્રવક્તા નલીન કોહલીએ પણ અન્ય ભાજપી નેતા જસવંતસિંહને આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. જોકે, બાદમાં રામ માધવને ભાન આવતા તેમણે ટિ્વટ ડિલિટ કરી હતી. નજીબ ૧૫મી ઓક્ટોબર ૨૦૧૬ના રોજ અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડા બાદ ગુમ થઇ ગયો હતો. આ વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હતા. દિલ્હીની કોર્ટે નજીબના ગુમ થવાના કેસમાં શંકાસ્પદ નવ વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન સત્વરે ફોરેન્સિક લેબોરેટરીમાં ચકાસવા નિર્દેશ કર્યો હતો. કોર્ટે જપ્ત કરાયેલી મોબાઇલ ફોનના ફોરેન્સિક પરિણામોના વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને લેબોટરીને ૧૯મી માર્ચ સુધી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જસ્ટિસ મુરલીધર અને આઇએસ મેહતાની બેંચે ચંદીગઢની સીએફએસએલના ડાયરેક્ટરને આ નિર્દેશ કર્યો હતો. સીબીઆઇના વકીલ દ્વારા કોર્ટમં રજૂઆત બાદ કોર્ટે એફએસએલને ઉપરોક્ત નિર્દેશ કર્યો હતો.