Ahmedabad

પાસપોર્ટમાં સુધારા સહિતના પ્રશ્નો માટે હવે એપોઈન્મેન્ટ લેવાની જરૂર નથી

હાલમાં સપ્તાહમાં માત્ર એક જ દિવસ પાસપોર્ટ ઓફિસે જઈ શકાતું હોઈ લોકહિતનો નિર્ણય !
સોમથી શુક્ર સુધી ગમે ત્યારે પાસપોર્ટના પ્રશ્ને રિજનલ ઓફિસે જઈ શકાશે

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.ર૧
વિદેશ જવા ઈચ્છુક લોકોની સંખ્યા વધવાને પગલે રાજ્યમાં પાસપોર્ટ બનાવવા માંગતા અરજદારોનો પાસપોર્ટ ઓફિસે ધસારો વધતો રહે છે. જેને લઈને છાશવારે વ્યવસ્થામાં બદલાવ સહિતના નિર્ણયો લેવામાં આવે છે. જેમાં હવે પાસપોર્ટમાં વિવિધ સુધારા સહિતના પ્રશ્નો માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે એપોઈન્મેન્ટ લીધા વિના પણ અરજદારો ગમે ત્યારે જઈ શકશે તેવી છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે.
પાસપોર્ટ અંગેના કામ માટે અરજદારોને કોઈ મુશ્કેલીઓ હોય તો હવેથી તેઓ રિજનલ પાસપોર્ટ ઓફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન ઓફિસ સમયે કોઈપણ પ્રકારના અપોઈન્ટમેન્ટ લીધા વિના જઈ શકશે. પાસપોર્ટના અરજદારોને વર્ષોથી માત્ર બુધવારે જ પાસપોર્ટ ઓફિસની મુલાકાત કરવા મળતી હતી. ત્યારે નવા રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ અરજદારો ગમે ત્યારે પણ મળી શકે છે તેવો નિર્ણય લીધો છે.
પાસપોર્ટ માટે અરજદારોનો ધસારો વધતા દેશભરમાં પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે. હવે કોઈ અરજદારની સમસ્યાનો નિકાલ પોસપોર્ટ સહાયતા કેન્દ્રમાં ન થાય તો અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસમાં અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવાની રહેતી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આવા અરજદારો પાસપોર્ટ ઓફિસે માત્ર બુધવારે જ અધિકારીને મળી શકતા હતા. જેના કારણે અરજદારને કોઈ તકલીફ પડે તો આખું અઠવાડિયું રાહ જોવી પડતી હતી. તેના પગલે ઘણી ફરિયાદો ઉઠી હતી. દરમિયાન અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસનો નવા અધિકારી રેન મિશ્રાએ ચાર્જ સંભાળી તેમણે લોકોના હિતમાં નિર્ણય લીધો છે. અરજદારની સમસ્યાનું ઝડપી નિવારણ આવે તે માટે તેમણે અઠવાડિયાના પાંચેય દિવસ કોઈપણ અરજદાર પોતાની સમસ્યા લઈને પાસપોર્ટ ઓફિસે આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તેમના આ નિર્ણયથી અરજદારોને પણ રાહત થઈ છે.