(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
ગોત્રીના પાર્વતીનગરના રહિશો બિલ્ડરે ત્રણ મહિનાથી ભાડુ નહી આપ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક કાઉન્સીલર રાજેશ આયરેની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી હતી. પાલિકાના સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે શહેરીજનો પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. નિરંકુશ વહીવટકર્તાઓની મનમાનીના કારણે વડોદરાની લગભગ મોટાભાગની પી.પી.પી. મોડેલની આવાસ યોજનાની કામગીરી ઘોંચમાં પડી છે. ત્યારે વસાહતોમાંથી દુર કરાયેલા ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો આજે પણ મકાન અને ભાડા માટે આજીજી કરી રહ્યાં છે. અગીયાર મહિના અગાઉ વડોદરા ગોત્રી લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ પાર્વતીનગર વસાહતના ૬૧ કાચાપાકા મકાનોને દુર કરવાની કામગીરી કરી ત્યાં પી.પી.પી. મોડેલથી આવાસ યોજના બાંધવાનું નક્કી કર્યુ હતું. જો કે મકાનો દુર કર્યાને ૧૧ મહિના વિતવા છતાં હજી ત્યાં કોઇપણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું નથી. તદ્દઉપરાંત આ આવાસ યોજના બાંધવાની કામગીરી કરતા બાલાજી ગૃપ બિલ્ડરે છેલ્લા ત્રણ મહિનાથી લાભાર્થીઓને ભાડુ આપવાનું પણ બંધ કર્યું હોવાના આક્ષેપો લાભાર્થીઓએ કર્યા છે. ત્યારે લાભાર્થીઓએ સ્થાનિક કાઉન્સીલર રાજેશ આયરેની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કલ્યાણનગર, સહકાર નગર, સંજયનગર બાદ હવે પાર્વતીનગરની આવાસ યોજના વિવાદમાં આવી છે. ત્યારે આમ જનતામાં પાલિકા સામે ભારે રોષ ફેલાયો છે.