(એજન્સી) તા.૭
પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ ખાકાન અબ્બાસીએ જણાવ્યું હતું કે ભારત સાથે યુદ્ધ એ વિકલ્પ નથી અને માત્ર કાશ્મીર સહિતના તમામ પડતર મુદ્દાઓ વાટાઘાટો દ્વારા જ ઉકેલી શકાય. અત્રે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સાઉથ એશિયા સેન્ટર ખાતે પાકિસ્તાનનું ભવિષ્ય ૨૦૧૭ પર એક પત્રકાર પરિષદને સંબોધતા અબ્બાસીએ કાશ્મીરને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારત સાથેના સંબંધો તંગ રહેશે. અમે કોઇ પણ સ્તરે વાટાઘાટો માટે ખુલ્લું મન ધરાવીએ છીએ અને વાટાઘાટો આગળ ધપાવવામાં આવી રહી છે. યુદ્ધ એ વિકલ્પ નથી એવું અબ્બાસીએ જણાવ્યું હતું. ભારતના કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટરીન પર પ્રકાશ ફેંકતા અબ્બાસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે તેના પ્રતિરોધકો છે. તેમણે જો કે બંને દેશો વચ્ચે વાતચીતમાં ઉલ્લેખનીય પ્રગતિને લઇને બહુ આશા જાહેર કરી નથી કારણ કે આગામી વર્ષે પાકિસ્તાન અને ૨૦૧૯માં ભારતમાં સામાન્ય ચૂંટણી યોજાશે.અબ્બાસીએ જણાવ્યું છે કે કોઇ મોટી પહેલની સંભાવના નજરે પડતી નથી. તેમણે સંમેલનમાં વિદ્યાર્થીઓના સવાલોના જવાબોમાં સ્વતંત્ર કાશ્મીરના કોઇપણ વિચારને સમર્થન આપવાની વાત ફગાવી દીધી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ વિચારને સમર્થન મને જોવા મળ્યું નથી. આ વિચાર ઘણીવાર વહેતો કરાયો છે પરંતુ વાસ્તવિકતામાં તેનો ખરેખર કોઇ આધાર નથી. ઉકેલ સુરક્ષા કાઉન્સિલના ઠરાવમાં છે કે લોકોને આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવે. પાકિસ્તાનની સુપ્રીમકોર્ટ દ્વારા નવાઝ શરીફની પીએમએલ (એન) સરકારને ગેરલાયક ઠરાવાયા બાદ પાકિસ્તાની સરકારનો હવાલો સંભાળનાર અબ્બાસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની રાજકીય જીવનમાં ક્યારેય નિષ્ક્રિય ક્ષણ જોવા મળી નથી અને અનેક પડકારો હોવા છતાં દેશે સ્થિરતાનું સ્તર હાસલ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદ સામે સૌથી મોટું યુદ્ધ લડી રહ્યું છે અને આ અનિષ્ટ સામે લડવા કટિબદ્ધ છીએ.