કર્મશીલો અને સામાજિક કાર્યકરોને હિંસાના કેસમાં આરોપી બનાવાતાં સોશિયલ મીડિયા પર કેન્દ્રની એજન્સી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો, ‘વિરોધનો
અવાજ દબાવવા માટે સારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે’
(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં ૨૦૧૮માં થયેલી હિંસા મામલે શુક્રવારે એનઆઇએએ આરોપનામું રજૂ કર્યું હતું જેમાં કેન્દ્રીય એજન્સીએ ટોચના કર્મશીલો આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હની બાબુ સહિત આઠ જાણીતા લોકોને આરોપી બનાવાયા છે. અહેવાલો અનુસાર કર્મશીલ સાગર ગોરખે, રમેશ ગાઇચર, જ્યોતિ જગતાપ, સ્ટેન સ્વામી અને માઓવાદી નેતા મિલિંદ તેલતુંબડેને એનઆઇએ દ્વારા દાખલ કરાયેલા આરોપનામામાં આરોપી જાહેર કરાયા છે. આ કેસ ૩૧મી ડિસેમ્બરે મહારાષ્ટ્રના પૂણે પાસેના ભીમા કોરેગાંવનો છે જ્યાં એક આંદોલન બાદ હિંસા ફાટી નીકળી હતી અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જોકે, અનેક બુદ્ધીજીવિઓની ધરપકડને પગલે કેન્દ્ર સરકારની એજન્સીએ લોકોના ભારે આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે અને આરોપ લગાવાઇ રહ્યો છે કે, વિરોધનો અવાજ દબાવવા માટે ટોચના લોકો સામે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એનઆઇએની તપાસમાં આરોપ લગાવાયો છે કે, એલગાર પરિષદ ખાતે ભેગા થયેલા કર્મશીલોએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતા અને વાંધાજનક ટીપ્પણીઓ કરતા બીજા દિવસે જ ભારે હિંસા ભડકી હતી. તપાસમાં એવું પણ જણાવાયું છે કે, આ હિંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની યોજના સાથે પણ સંબંધિત છે. તપાસ દરમિયાન એનઆઇએએ જણાવ્યું કે, એવો ખુલાસો થયો છે કે, ગેરકાયદેસર પ્રવૃત્તિ ધારા અંતર્ગત પ્રતિબંધિત જાહેર કરાયેલા સીપીઆઇ માઓવાદી સંગઠનના સિનિયર નેતા એલગાર પરિષદના સંચાલકો સાથે સીધા સંપર્કમાં હતા એટલું જ નહીં, આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ માઓવાદી અને નકસલવાદીઓ સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ છે. પૂણે પોલીસે ૧૫મી નવેમ્બર ૨૦૧૮ના રોજ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી અને તેવી જ પૂરત ચાર્જશીટ ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ દાખલ કરાઇ હતી. એનઆઇએએ આ વર્ષે ૨૪મી જાન્યુઆરીથી કેસની તપાસ શરૂ કરી હતી. આ પહેલા ગુરૂવારે મોડી રાતે આદિવાસી લોકો સાથે કામ કરતા અને ૮૩ વર્ષના પાદરી ફાધર સ્ટેન સ્વામીની એનઆઇએ દ્વારા દિલ્હીથી છેક રાંચી પહોંચીને ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અનેક લોકોની ધરપકડ બાદ તેમની ધરપકડ કરાઇ છે. તેમની સામે કેન્દ્રીય એજન્સીએ કાવતરૂં ઘડવાનો આરોપ લગાવાયા બાદ સભ્ય સમાજમાં ભારે ગુસ્સો વ્યાપી રહ્યો છે. આ પહેલા પૂણે પોલીસે જે આરોપનામું દાખલ કર્યું હતું તેમાં સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, સુધીર ધવાલે, રોના વિલસન, અરૂણ ફેરિરા, વર્નોન ગોન્ઝાલવિસ, પી વરવરા રાવ, શોમા સેન અને સુધા ભારદ્વાજનો સમાવેશ થાય છે.