(એજન્સી) ભોપાલ, તા.ર૪
મધ્યપ્રદેશમાં પૂર્વ ભાજપની શિવરાજ સરકારના ભ્રષ્ટાચારના પટારા ખુલી રહ્યા છે. તે જોતાં ભાજપને શંકા છે કે તેને વિધાનસભાની માફક લોકસભામાં પણ ઝટકો લાગી શકે છે. ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞાસિંહને ભાજપે ઉમેદવાર બનાવી પાર્ટી સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરી ચૂંટણી જીતવા ઈચ્છે છે. તે સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નથી. ઈ-ટેન્ડરીંગ અને માખનલાખ યુનિ.માં ભરતીમાં ગોટાળા બાદ એફઆઈઆર દર્જ થયા પછી ભાજપના નેતાઓ પરેશાન છે. મોટા ટેન્ડરની અનુમતિ માટેના બોર્ડમાં મુખ્યમંત્રી હોય છે. તેથી શિવરાજની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા છે. પ્રદેશમાં છેલ્લા ૧પ વર્ષથી ભાજપના શાસનમાં શિવરાજસિંહ ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહ્યા. ઈ ટેન્ડરીંગ ગોટાળાની મુદ્દત છેલ્લા ૪ વર્ષની મનાય છે. ગોટાળાની તપાસ કરી રહેલી ટીમને રોજરોજ નવી જાણકારીઓ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈ-ટેન્ડરીંગમાં માત્ર ચાર કંપનીઓને વધુ ટેન્ડર મળ્યા. એ તમામ કંપનીઓ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓના સંબંધીઓને જંગી પગારથી નોકરીમાં રાખતી હતી. તેથી કંપનીઓ સરકાર સુધી પહોંચ ઊભી કરી દેતી હતી.
જેમાં એક કંપની હૈદરાબાદની હતી. જેને ૧૩૮૬ કરોડના ૧૬ ટેન્ડર મળ્યા હતા. આ કંપનીમાં ભાજપના એક મોટા નેતાના શેર હતા. આજકાલ આ નેતાનો દરજ્જો ઘણો ઊંચો છે. સૂત્રોએ કહ્યું કે અત્યાર સુધીમાં જે દસ્તાવેજો મળ્યા છે તેમાં ભારે અનિયમિતતા જોવા મળી. સૌથી વધુ ટેન્ડર જળસંશોધન વિભાગ, પીડબ્લ્યુડી, પીએચઈડી દ્વારા મગાવાયા. તે સમયે જળ સંશોધન મંત્રી નરોત્તમ મિશ્રા હતા. તેઓ સરકારમાં નંબર-રના પદ પર હતા. પ્રદેશની સીઆઈડી ગોટાળાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેમાં કેટલાક અધિકારીઓ અને પૂર્વ મંત્રીઓ સામે એફઆઈઆર દર્જ કરી છે. સીઆઈડીના વડા કે.એન.તિવારીએ કહ્યું આરોપીઓની પૂછપરછ બાદ તપાસ આગળ ધપી રહી છે. વિશેષજ્ઞો કહે છે કે ટેન્ડરમાં ગોટાળાની જવાબદારી સચિવ, મંત્રી અને સમિતિની છે. કોંગ્રેસ નેતા સંગીતા શર્માએ કહ્યું કે આટલો મોટો ગોટાળો થયો અને મુખ્યમંત્રી કે મંત્રીઓ અજાણ હોઈ શકે નહીં. સીઆઈડી માખનલાલ પત્રકારિતા યુનિ.માં ભરતીની પણ તપાસ કરી રહી છે. યુનિ.ના ચેરમેન મુખ્યમંત્રી હોય છે. આ યુનિ.માં આરએસએસ સાથે સંબંધ રાખનાર બી.કે.હઠિયાલાને કુલપતિ બનાવાયા હતા. તેમના પર ર૦ કર્મચારીઓની ખોટી રીતે ભરતી કરવાનો અને મનસ્વી ખર્ચા કરવાનો આરોપ છે. જેના પુરાવા સીઆઈડીને મળ્યા છે. તેની સામે એફઆઈઆર દાખલ કરાઈ છે.